ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઉભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે.આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર મળશે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે,ગુજરાત સરકાર હંમેશા ખેડૂતોની સુખાકારી માટે કટિબદ્ધ છે. ખેડૂતો સાથે વિસ્તૃત ચર્ચા-વિમર્શ કર્યા બાદ અને તેમની વાસ્તવિક મુશ્કેલીઓને સમજીને સરકારે વીજ પોલ વળતરની નવી પોલિસી જાહેર કરી છે. 

કાંતિ અમૃતિયાએ આવકારી રાજ્ય સરકારનો આભાર માન્યો

આ નિર્ણય મુજબ, હવે જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા માટે MRCની રચના કરવામાં આવશે અને ખેડૂતોને એકસાથે 100% વળતર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણયને મંત્રી કાંતિ અમૃતિયાએ આવકારી રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. તેમણે સ્વીકાર્યું હતું કે,વીજ પોલ નાખવાની પ્રક્રિયા દરમિયાન મોરબી સહિતના અનેક વિસ્તારોમાં ખેડૂતોને મળતું વળતર ખૂબ જ ઓછું હતું, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં હતા અને તેમને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. 

ખેડૂતોનો સહયોગ વધુ મજબૂત બનશે

મંત્રીએ સ્પષ્ટપણે સ્વીકાર્યું કે ખેડૂતોની વળતર વધારવાની માંગણી તદ્દન વાજબી હતી અને છેલ્લા બે મહિનામાં ખેડૂતોની આ વેદનાને રાજ્ય સરકારે ખૂબ જ સંવેદનશીલતાથી ધ્યાને લીધી છે.રાજ્ય સરકારનો આ નવો નિર્ણય ખેડૂતોને કાયમી ન્યાય અપાવનારો સાબિત થશે. વળતરની રકમમાં વધારો અને પારદર્શક રીતે બજાર કિંમત નક્કી કરવાની પ્રક્રિયાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી મુક્તિ મળશે.મંત્રી કાંતિ અમૃતિયાના મતે, આ પગલું સરકારની ખેડૂતલક્ષી અભિગમનું ઉત્તમ ઉદાહરણ છે, જેનાથી ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે અને કૃષિ ક્ષેત્રે વિકાસકામોમાં પણ ખેડૂતોનો સહયોગ વધુ મજબૂત બનશે.


આ પણ વાંચોઃ Dang News: ડાંગમાં વરસાદને પગલે ફસાઈ ગયેલા 41 પરપ્રાંતિય શ્રમિકોનું સફળ રેસ્ક્યુ