ગુજરાત રાજ્ય ફેરપ્રાઇઝ શોપ એસોસિયેશને 1 નવેમ્બરથી રાજ્યભરમાં 7,000 જેટલા રેશનિંગ દુકાનદારોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન કર્યું છે. દુકાનદારો તેમની 20 પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડશે, જેના પરિણામે રાજ્યની અનાજ વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જવાની સંભાવના છે. દુકાનદારોની મુખ્ય માંગણીઓમાં કમિશન દરમાં તાત્કાલિક વધારો કરવાની અને વિવિધ વહીવટી તથા ટેકનિકલ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માગણીઓ સામેલ છે. વર્ષોથી પડતર આ માંગણીઓ પર ધ્યાન ન અપાતા આખરે એસોસિયેશન દ્વારા હડતાળ પર ઉતરવાનો સખ્ત નિર્ણય લેવામાં આવ્યો છે.
ટેકનિકલ અને વહીવટી પ્રશ્નો પર વિરોધ
હડતાળ પાછળનું એક મોટું કારણ રેશનિંગ પ્રક્રિયામાં રહેલા ટેકનિકલ અને વહીવટી પ્રશ્નો છે. દુકાનદારોની ફરિયાદ છે કે કોમ્પ્યુટરાઇઝ વેરિફિકેશનમાં વારંવાર સમસ્યાઓ સર્જાય છે, જેના કારણે ગ્રાહકોને અનાજ વિતરણમાં વિલંબ થાય છે. આ ઉપરાંત, એસોસિયેશને 80 ટકા બાયોમેટ્રિક વેરીફિકેશન ફરજિયાત કરતો પરિપત્ર તાત્કાલિક રદ્દ કરવાની અને સિંગલ ફિંગર બાયોમેટ્રિક કોડની જોગવાઇ પણ રદ્દ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ પ્રકારના કડક નિયમો વ્યવહારિક રીતે યોગ્ય નથી અને દુકાનદારોને બિનજરૂરી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.













