ગુજરાત ભાજપના સંગઠનને વધુ મજબૂત અને સક્રિય કરવાના હેતુથી આગામી સપ્તાહમાં ભારતીય જનતા પાર્ટીના બે ઉચ્ચ કક્ષાના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.ભાજપના રાષ્ટ્રીય નેતા સતીષ પુનિયા અને નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રભારી તરુણ ચૂગના આગમનને પગલે પ્રદેશ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આગામી 30 ઓગસ્ટે ભાજપના રાષ્ટ્રીય નેતા સતીશ પુનિયા ગુજરાતની મુલાકાતે આવશે.પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતના ખાસ સ્ક્રીનિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
કમલમ ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી
આ કાર્યક્રમમાં ગુજરાતમાં વસતા રાજસ્થાની સમાજના અંદાજે 1 હજાર જેટલા અગ્રણીઓ અને લોકો વિશેષરૂપે જોડાશે.સતીષ પુનિયા આ કાર્યક્રમ મારફતે રાજસ્થાની સમુદાય સાથે સીધો સંવાદ સાધીને સંગઠનાત્મક બાબતો અંગે ચર્ચા-વિચારણા કરશે.બીજી તરફ, 2 સપ્ટેમ્બરે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચૂગ ગુજરાતના પ્રવાસે આવી પહોંચશે.ગુજરાત ભાજપના પ્રભારી તરીકેની જવાબદારી સોંપાયા બાદ તરુણ ચૂગનો આ પ્રથમ સત્તાવાર ગુજરાત પ્રવાસ છે.તેમના આ પ્રવાસને લઈને ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
