સુરતના અબ્રામા ખાતે આવેલી જાણીતી ‘પી. પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલ’માં મોડી રાત્રે ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. ગત રાત્રે આશરે 11:30 વાગ્યાના સુમારે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓની તબિયત એકપછી એક લથડવા લાગી હતી. પેટમાં દુખાવો, ઊલટી અને ચક્કર જેવી ફરિયાદો બાદ આશરે ૮૦80 થી 100 જેટલી વિદ્યાર્થીનીઓને આ અસર થઈ હોવાનું સામે આવ્યું છે.
ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટના
ઘટનાની જાણ થતાં જ હોસ્ટેલ સંચાલકો દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. યોગ્ય સારવાર બાદ તમામ વિદ્યાર્થીનીઓની સ્થિતિ સુધારા પર આવતાં સવારે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
આરોગ્ય મંત્રીનું કડક વલણ
જોકે, હોસ્ટેલ તંત્ર અને સુરત મહાનગરપાલિકા વચ્ચે વિવાદ ઊભો થયો છે. હોસ્ટેલ તંત્રે દાવો કર્યો છે કે તેમણે ભોજનના સેમ્પલ લેબોરેટરીમાં મોકલી મનપાના આરોગ્ય વિભાગને જાણ કરી હતી, જ્યારે મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરે હોસ્ટેલ તંત્રના આ દાવાને ખોટો ગણાવ્યો છે.આ ઘટના અંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કડક વલણ અપનાવતાં નિવેદન આપ્યું છે કે, અબ્રામાની આ હોસ્ટેલમાં રોજના 2500 લોકોનું ભોજન બને છે. આરોગ્ય વિભાગની વિશેષ ટીમ હાલ સ્થળ પર પહોંચી તપાસ કરી રહી છે કે આ ઘટના ખોરાકથી થઈ છે કે પછી પાણીજન્ય તકલીફને કારણે.
હોસ્ટેલોમાં ફૂડ સેફ્ટી માટે સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવશે
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "રાજ્યની હોસ્ટેલોમાં અવારનવાર થતી આવી ઘટનાઓ ખૂબ જ ગંભીર છે. સરકાર આ બાબતે સંપૂર્ણ ગંભીર છે અને આરોગ્ય વિભાગની SOPનું પાલન દરેક હોસ્ટેલે ફરજિયાત કરવું પડશે. આવતા અઠવાડિયે રાજ્યની તમામ સરકારી, અર્ધ-સરકારી અને સંસ્થાકીય હોસ્ટેલોમાં ફૂડ સેફ્ટી અને આરોગ્ય તપાસ માટે એક વિશેષ સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવશે."
આ પણ વાંચો: Dang: ગીરા ધોધ જોવા પ્રવાસીઓની ભારે ભીડ; અંબિકા અને ખાપરી નદીના ધસમસતા પ્રવાહને પગલે તંત્ર એલર્ટ