ગુજરાતમાં તલાટી-કમ-મંત્રીઓની વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ કરવાની તૈયારીઓ કરી રહ્યાં છે. અંદાજે 11 હજાર જેટલા તલાટીઓએ સરકાર સામે આરપારની લડાઈનું રણશિંગું ફૂંક્યું છે અને આવતીકાલથી નો એક્સ્ટ્રા વર્ક એટલે કે વધારાની કામગીરી ન કરવાનું આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પોતાની લાંબા સમયની માંગણીઓનો ઉકેલ ન આવતા તલાટી મંડળે આ કડક વલણ અપનાવ્યું છે.
50 જેટલી બિન-મૂળભૂત કામગીરીઓ પર સંપૂર્ણ બ્રેક
આ આંદોલનના ભાગરૂપે તલાટીઓ હવે ગામડાઓમાં પોતાની ફરજના મુખ્ય કામો સિવાયની અન્ય આશરે 50 જેટલી બિન-મૂળભૂત કામગીરીઓ પર સંપૂર્ણ બ્રેક મારી દેશે. તલાટીઓની મુખ્ય નારાજગી તેમના જોબચાર્ટ અંગે સરકાર દ્વારા કોઈ સ્પષ્ટ નિર્ણય ન લેવાયો હોવાને કારણે છે. આ ઉપરાંત, રેવન્યુ તલાટીઓની નવી નિમણૂંકોના મુદ્દે પણ તલાટી સંવર્ગમાં ભારોભાર રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.
