ગિરી સોમનાથ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ પ્રભાસતીર્થ સ્થિત ત્રિવેણી સંગમ ઘાટ પર મહિલા યાત્રિકોની ગોપનીયતા અને સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા હતા. પવિત્ર સંગમમાં સ્નાન કર્યા બાદ મહિલાઓ માટે કપડાં બદલવા સુરક્ષિત ચેન્જિંગ રૂમ ન હોવાના કારણે ભારે મુશ્કેલી સર્જાતી હતી. આ ગંભીર સમસ્યાને ધ્યાને રાખીને 'સંદેશ ન્યૂઝ' દ્વારા જનહિતમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલ પ્રસારિત થતાં જ સોમનાથ ટ્રસ્ટના જવાબદાર અધિકારીઓ સફાળા જાગી ગયા હતા અને ત્વરિત પગલાં ભરવાની ફરજ પડી હતી.
આડશ શોધવાની મજબૂરી અને યાત્રિકોનો ભારે રોષ
ત્રિવેણી સંગમ ખાતે દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે આવે છે. જોકે, યોગ્ય સુવિધાના અભાવે મહિલા યાત્રિકોને સ્નાન કર્યા બાદ કપડાં બદલવા માટે આડશ શોધવી પડતી હતી અથવા ખુલ્લામાં કપડાં બદલવા મજબૂર બનવું પડતું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવી પ્રાથમિક અને અત્યંત મહત્વપૂર્ણ સુવિધા ઊભી ન કરવામાં આવતા સ્થાનિકો અને દૂર-દૂરથી આવતા યાત્રિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. સંદેશ ન્યૂઝે આ દર્દનાક સ્થિતિને ઉજાગર કરી યાત્રિકોનો અવાજ બુલંદ કર્યો હતો.
