ગુજરાતના શૈક્ષણિક જગતને શર્મસાર કરતી અને સેંકડો વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમાં ધકેલતી એક ચોંકાવનારી ઘટના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાંથી સામે આવી છે. ઉનાની નાંડોળા B.Ed કોલેજ છેલ્લા ત્રણ વર્ષથી સંપૂર્ણપણે બોગસ (ગેરકાયદેસર) રીતે ચાલતી હોવાનો સનસનાટીપૂર્ણ આરોપ લાગ્યો છે. દિલ્હીની નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન ની કથિત બોગસ મંજૂરીના આધારે આ કોલેજમાં વર્ષ 2023થી ધમધમાટ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
93 જેટલા નિર્દોષ વિદ્યાર્થીઓને પ્રવેશ
સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે, આ ગંભીર કૌભાંડમાં દર વર્ષે અંદાજે 93 જેટલા નિર્દોષ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવતો હતો. આ મામલે ગત 2 માર્ચના રોજ સત્તાવાર રીતે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. પરંતુ, ફરિયાદ નોંધાયાને 4 મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, પોલીસ દ્વારા હજુ સુધી એક પણ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી નથી, જેને પગલે પોલીસ તપાસની ધીમી ગતિ સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.













