Gujarat વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આદિજાતિના ખોટા પ્રમાણપત્રો અંગે મહત્વની માહિતી સામે આવી છે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે, સાચા આદિવાસીઓના હકનું રક્ષણ કરવા સરકાર કટિબદ્ધ છે.

1,776માંથી 619 અરજીઓનો નિકાલ, 75 પ્રમાણપત્રો રદ

જસ્ટિસ કારીયા કમિટી દ્વારા કરવામાં આવેલી ચકાસણી બાદ રાજ્યમાં 1 ઓગસ્ટ 2024થી 31 જુલાઈ 2026 દરમિયાન કુલ 75 જેટલા ખોટા આદિજાતિ પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. પ્રમાણપત્રોની ખરાઈની પ્રક્રિયા નિયમો અનુસાર હાથ ધરવામાં આવી રહી છે. ગાંધીનગર-2 વિશ્લેષણ સમિતિ સમક્ષ આદિજાતિ પ્રમાણપત્રોની ખરાઈ માટે કુલ 1,776 અરજીઓ આવી હતી. તેમાંથી અત્યાર સુધીમાં 619 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું મંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું.

ખોટું સાબિત થાય તો કાર્યવાહી

મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે, આદિજાતિ પ્રમાણપત્રો યુવાનોની વર્ષોની મહેનત, નોકરી અને કારકિર્દી સાથે સીધી રીતે જોડાયેલા હોય છે. તેથી પ્રમાણપત્રોની ખરાઈની પ્રક્રિયા ગંભીરતા, પારદર્શિતા અને ઊંડાણપૂર્વક કરવામાં આવે છે. ચકાસણી દરમિયાન કોઈ પ્રમાણપત્ર ખોટું હોવાનું સાબિત થાય તો આદિજાતિ વિભાગ દ્વારા સંબંધિત વિભાગને જાણ કરવામાં આવે છે. ત્યારબાદ નિયમો મુજબ નોકરી અથવા અન્ય મળેલા લાભો પરત ખેંચવા સહિતની જરૂરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે.

આદિવાસીઓના હક માટે સરકાર કટિબદ્ધ

મંત્રીએ સ્પષ્ટ કર્યું કે સાચા આદિવાસીઓના અધિકારો પર કોઈ ખોટા પ્રમાણપત્રધારકનો કબજો ન થાય તે માટે સરકાર જરૂરી કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો: વિધાનસભામાં હોબાળો, હર્ષ સંઘવીએ ઈમરાન ખેડાવાલા સામે કરી કાર્યવાહીની માગ