તહેવારોની સીઝન નજીક આવી રહી છે ત્યારે રાજ્યના ગૃહ વિભાગે ફટાકડાના કામચલાઉ વેચાણ માટેની નવી ગાઇડલાઇન બહાર પાડી છે. જાહેર સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણય મુજબ, હવે ફટાકડાના સ્ટોલ લગાવવા માટે વિક્રેતાઓએ પોલીસ પાસેથી 'નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ' (NOC) મેળવવું ફરજિયાત રહેશે. આ નિયમ ખાસ કરીને 500 ચોરસ મીટર (ચો.મી.) સુધીની જગ્યામાં ફટાકડાનું વેચાણ કરવા માંગતા વેપારીઓને લાગુ પડશે. આ પગલું ફટાકડાના વેચાણ દરમિયાન થતી દુર્ઘટનાઓને ટાળવા માટે લેવામાં આવ્યું છે.
પોલીસ દ્વારા સ્થળ ચકાસણી અને યાદી તૈયાર
નવી ગાઇડલાઇન બાદ પોલીસ તંત્ર પણ સક્રિય બન્યું છે. પોલીસ વિભાગે NOC આપતા પહેલાં ફટાકડાના સ્ટોલ માટે પસંદ કરાયેલા સ્થળોની ચકાસણી કરવા માટે એક વિગતવાર યાદી તૈયાર કરી છે. આ યાદીના આધારે પોલીસના અધિકારીઓ સ્થળ પર જઈને સુરક્ષાના માપદંડો ચકાસશે. આ ઉપરાંત, ગૃહ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ફટાકડાના સ્ટોલમાં ફાયર સેફ્ટીના તમામ નિયમોનું પાલન થાય છે કે નહીં, તે સુનિશ્ચિત કરવા માટે સરપ્રાઇઝ ચેકિંગ પણ કરવામાં આવશે. જો કોઈ વિક્રેતા ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતો જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.













