દિવાળીના તહેવારમાં ગુજરાતનાં નાનામોટા ગામોમાં અલગ અલગ પરંપરા મુજબ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે બુકોલી ગામમાં દિવાળીના પાંચ દિવસ અશ્વ દોડનું આયોજન થાય છે.


પાંચ દિવસ ઘોડા દોડાવીને પરંપરાની ઉજવણી

દિવાળીમાં સામાન્ય રીતે ફટાકડા ફોડવા, મીઠાઇઓ ખાવી , રંગોળી પુરવી આવી બધી રીતે તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના બુકોલી ગામમાં દિવાળીના પાંચ દિવસ ઘોડા દોડાવીને વર્ષો જૂની પરંપરા ઉજવવામાં આવે છે. આ પરંપરા કોઈ સ્પર્ધાના ભાગ રૂપે નથી હોતી પણ ધાર્મિક પરંપરાના ભાગરૂપે ધનતેરસથી ભાઈબીજ સુધી આ 5 દિવસ અશ્વ દોડ ઉત્સવ થાય છે.

કોટિયાવીર દાદાની આસ્થાને ભાગ રૂપે ઉજવણી

બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકાના બુકોલી ગામમાં વર્ષો જૂનું કોટિયાવીરનું પૌરાણિક મંદિર આવેલું છે જે ત્યાંનાં સ્થાનિકો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ ગામમાં કોટડિયાવીર દાદા પ્રત્યેની આસ્થાને ભક્તિ ભાવ પૂર્વક ઉજવવા માટે ગામના લોકો દર વર્ષે પાંચ દિવસ માટે અશ્વદોડની પરંપરાગત ઉજવણી કરે છે. આ ઉજવણીમાં બુકોલી સહિત આસપાસના ગામના 100થી વધુ ઘોડેસવાર ભાગ લે છે.

ઢોલ-નગારા વગાડી ને તહેવારની ઉજવણી

બુકોલી ગામમાં જ્યારે આ પરંપરાની ઉજવણી કરવામાં આવે છે ત્યારે પાંચ દિવસ દરમિયાન ગામમાં ઢોલ-નગારા વગાડવામાં આવે છે, ત્યાર બાદ મોટી સંખ્યામાં લોકો અને ઘોડેસવાર કોટિયાવીરના મંદિરે અશ્વ સાથે પ્રાર્થના કરવા જાય છે. મંદિરે દર્શન કર્યા પછી બપોરના 12 વાગ્યે ઘોડાની રેસના માર્ગ પર બંને બાજુએ અશ્વદોડની પરંપરાગત ઉજવણી જોવા ગોઠવાઈ જાય છે.


  • Follow us on: