સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં અચાનક પાણીનું સ્તર વધતા 3 થી 4 લોકો ફસાઈ ગયા છે. આ ઘટના પ્રાંતિજના વાઘપુર ગામ નજીક આવેલા સૂર્યકુંડ પાસે બની છે. રાત્રિનો સમય અને અંધારું હોવાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.


પ્રાંતિજના વાઘપુર સુર્યકુંડ પાસે નદીમાં ફસાયા

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નદીના પટમાંથી બચાવો-બચાવોનો અવાજ સાંભળતા તેઓ નદી કિનારે દોડી ગયા હતા. તેમણે જોયું કે 3 થી 4 લોકો પાણીના પ્રવાહમાં ઘેરાઈ ગયા છે. તાત્કાલિક તેમણે તંત્રને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતા જ પ્રાંતિજ ફાયર ટીમ, પોલીસ અને મામલતદાર સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

અંધકારના કારણે રેસ્ક્યુ કરવામાં મુશ્કેલી

આ ઉપરાંત મોડાસા અને હિંમતનગર સહિતના વિસ્તારોની ટીમોને પણ મદદ માટે જાણ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નદીમાં ફસાયેલા લોકો વાઘપુર સૂર્યકુંડ પાસે બની રહેલા બંગ્લોઝની સ્કીમના મજૂરો હોવાનું જાણવા મળ્યું છે. જોકે અંધારું હોવાને કારણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


  • Follow us on: