સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકોનો સાબર ડેરી સામેનો ભાવફેરનો વિરોધ વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે. સાબર ડેરી પાસે ગઈ કાલે બંને જિલ્લાના પશુપાલકોએ ભાવ ફેર મુદ્દે સુત્રોચ્ચાર કરતાં વાતાવરણ તંગ બન્યું હતું.ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના 50 સેલ છોડ્યા હતાં. આ ઘટનામાં ત્રણથી વધુ પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી. પોલીસે 60 પશુપાલકોની અટકાયત કરી હતી. પશુપાલકોના આંદોલનમાંથી પરત ફરતા એક પશુપાલકનું મોત થયું હતું. સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકોમાં રોષ યથાવત રહ્યો છે. ગામની ડેરીમાં દૂધ નહીં ભરાવી વિરોધ નોંધાવ્યો છે.
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકોમાં રોષ યથાવત
સાબર ડેરીમાં ભાવ ફેર મુદ્દે ચાલી રહેલા આંદોલનમાં એક પશુપાલકનું મોત થયા બાદ આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકોમાં રોષ યથાવત રહ્યો છે. પશુપાલકોએ ગામની ડેરીમાં દૂધ નહીં ભરાવી વિરોધ નોંધાવ્યો છે. અરવલ્લીના માર્ગો પર દૂધની રેલમછેલ જોવા મળી છે. સાબરડેરીનો ભાવફેર મુદ્દો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. મોટાભાગના પશુપાલકોએ દૂધ ન ભરાવી વિરોધ કર્યો છે. ઇડર,વડાલી,ખેડબ્રહ્મા,હિંતમનગર, પ્રાંતિજ, પોશીના અને વિજયનગરમાં પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો છે.
અશોક ચૌધરીનું મોત નિપજતાં આક્રોશ વધી રહ્યો છે
સાબરકાંઠામાં આંદોલન બાદ પરત ફરતા એક પશુપાલકનું ટીયર ગેસના સેલને કારણે મોત થયું હોવાનો આક્ષેપ કરાયો હતો. ડેરીના ડિરેક્ટર અને વાઈસ ચેરમેન સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. ઈડર સિવિલ હોસ્પિટલમાં પશુપાલકો અને મૃતકના પરિજન સાથે વાતચીત કરી હતી.પશુપાલકોએ મૃતદેહને ડેરીના ગેટ પાસે મૂકી વિરોધ કર્યો હતો. ઇડર નજીક જીંજવા ગામના અશોક ચૌધરીનું મોત નિપજતાં આક્રોશ વધી રહ્યો છે. પશુપાલકના મોત બાદ અન્ય પશુપાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પશુપાલકની આજે ઝીંઝવા ગામે અંતિમયાત્રા નીકળશે.
પશુપાલકો દ્રારા દુધ ઢોળીને વિરોધ કરાયો
બીજી તરફ અરવલ્લીમાં મોડાસાના માલપુરમાં પશુપાલકોએ દૂધ નહીં ભરાવી વિરોધ નોંધાવ્યો હતો. મોડાસાના ખંભીંસર ગામે પશુપાલકોએ સાબરડેરી સત્તાધીશોની અંતિમ યાત્રા કાઢી હતી. પશુપાલકોએ દૂધ જાહેર રસ્તા પર ઢોળી વિરોધ કર્યો હતો. આ ઉપરાંત ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, કુબાધરોલ, વક્તાપુર, મોટી વાડોલ, ભજપુરામાં પશુપાલકોએ ડેરીમા દૂધ નહીં ભરાવીને વિરોધ કર્યો હતો. પ્રાંતિજના બાલીસણા ગામે પશુપાલકો દ્રારા દુધ ઢોળીને વિરોધ કરાયો હતો.