આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી માટે રાજ્ય સરકારે તૈયારીઓ આરંભી દીધી છે. આ વર્ષે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વનો મુખ્ય કાર્યક્રમ અમરેલી જિલ્લામાં યોજાવા જઈ રહ્યો છે. પ્રોટોકોલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, 15મી ઓગસ્ટે સવારે 9.00 વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે અને રાજ્યવાસીઓને સંબોધિત કરશે.
નેતાઓને વિવિધ જિલ્લાઓની સોંપાઈ જવાબદારી
રાજ્યના પ્રોટોકોલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા અધિકૃત પત્ર વ્યવહાર મુજબ રાજ્યના તમામ કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ અને વરિષ્ઠ હોદ્દેદારોને વિવિધ જિલ્લાઓમાં ધ્વજવંદન માટેની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે ધ્વજવંદન કરશે. આ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વાવ-થરાદ (બનાસકાંઠા) માં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપશે.


