આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભાવના વધુ પ્રબળ બને તેવા શુભ ઉદ્દેશ્ય સાથે સાયલા તાલુકા તંત્ર દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં સમગ્ર સાયલા ગામના દરેક સમાજના લોકો, વેપારીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં સ્વયંભૂ જોડાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
પૂ. દુર્ગાદાસજી મહારાજે કરાવ્યું પ્રસ્થાન, મુખ્ય માર્ગો પર ફરી યાત્રા
તિરંગા યાત્રાનો પ્રારંભ લાલજી મહારાજની જગ્યા મંદિર ખાતેથી થયો હતો. મંદિરના મહંત પૂજ્ય દુર્ગાદાસજી મહારાજે ધ્વજ બતાવીને યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ તિરંગા યાત્રા સાયલા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને સુદામડા દરવાજા વિસ્તાર ખાતે પહોંચી હતી, જ્યાં તેનું ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન સહુ કોઈના હાથમાં ત્રિરંગો લહેરાતો જોવા મળ્યો હતો.

બાળકો ભારત માતા અને સ્વાતંત્ર્ય વીરોની વેશભૂષામાં સજ્જ થયા
આ તિરંગા યાત્રાનું મુખ્ય આકર્ષણ શાળાના નાના-નાના બાળકો રહ્યા હતા. સાયલાની તમામ શાળાઓના શિક્ષકો અને બાળકો મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા. શાળાઓના બાળકો ભારત માતા, દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મહાપુરુષોની આકર્ષક વેશભૂષામાં સજ્જ થઈને આવ્યા હતા, જેમણે દેશભક્તિના નારા લગાવીને લોકોમાં નવો ઉત્સાહ પૂરી દીધો હતો.

રાજકીય મહાનુભાવો, અધિકારીઓ અને વેપારી મંડળોની પ્રેરક ઉપસ્થિતિ
આ દેશભક્તિ સભર કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા સહિતના રાજકીય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાયલાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) સહિતના પ્રશાસનિક અધિકારીઓ, કર્મચારીઓ, ક્વોરી એસોસિએશનના સભ્યો, વેપારી મહામંડળના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓએ પણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

આ પણ વાંચો - Surendranagar: HCના આદેશ મુજબ વેતનની માંગ સાથે આંગણવાડી કર્મીઓની રેલી