નેપાળમાં ભારે વરસાદ બાદ આવેલા ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનથી સ્થિતિ અત્યંત ગંભીર બની છે. આ કુદરતી આફત વચ્ચે ગુજરાતમાંથી નેપાળ ગયેલા અનેક યાત્રીઓ ફસાયા હોવાની માહિતી સામે આવી છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓના લોકોનો સંપર્ક તૂટ્યો હોવાનું અનુમાન છે. કેટલાક યાત્રીઓ સાથે છેલ્લા 48 કલાકથી સંપર્ક થઈ શક્યો નથી, જેના કારણે તેમના પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

25 ગુજરાતીઓ સંપર્કવિહોણા હોવાની આશંકા

પ્રાથમિક માહિતી મુજબ, ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી નેપાળ ગયેલા કુલ 25 લોકોના સંપર્ક તૂટ્યા હોવાનું અનુમાન છે. જોકે, આ સંખ્યા અંગે જિલ્લા તંત્ર દ્વારા વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. પરિવારજનો પોતાના સ્વજનો સાથે સંપર્ક સ્થાપિત થાય તેની રાહ જોઈ રહ્યા છે.

વલસાડની મહિલા સુરક્ષિત મળી

આ મુશ્કેલ સ્થિતિ વચ્ચે વલસાડની એક મહિલા નેપાળમાં સુરક્ષિત મળી આવી હોવાની રાહતભરી માહિતી સામે આવી છે. એક તરફ કેટલાક ગુજરાતીઓનો સંપર્ક ન થતાં ચિંતા વધી રહી છે, ત્યારે સુરક્ષિત લોકોની માહિતી મળતા પરિવારજનોને થોડી રાહત મળી છે.

જિલ્લા તંત્રો એક્શનમાં

ગુજરાતના વિવિધ જિલ્લા તંત્રો દ્વારા નેપાળ ગયેલા લોકો અંગેની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. કોના સંપર્ક તૂટ્યા છે, તેઓ કયા વિસ્તારમાં હતા અને તેમની હાલની સ્થિતિ શું છે તે અંગે માહિતી મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

https://twitter.com/ANI/status/2093529353930088546


ખરાબ હવામાનથી રેસ્ક્યુમાં અડચણ

નેપાળમાં સતત વરસાદ અને ખરાબ હવામાનના કારણે રેસ્ક્યુ ઓપરેશનને પણ મોટો ફટકો પડ્યો છે. હેલિકોપ્ટર સેવા બંધ રહેતા પૂર અને ભૂસ્ખલનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. રસ્તાઓ અને અન્ય માર્ગો પણ પ્રભાવિત થતાં બચાવ કામગીરી વધુ પડકારજનક બની છે.

પૂર-ભૂસ્ખલનથી સ્થિતિ ગંભીર

નેપાળના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. કુદરતી આફત વચ્ચે ગુજરાતીઓ સહિત અનેક યાત્રીઓની સુરક્ષા અંગે ચિંતા વધી છે. હવે સૌથી મોટો પડકાર સંપર્કવિહોણા લોકોની ચોક્કસ માહિતી મેળવવાનો અને હવામાન સુધરતાં ઝડપથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવાનો છે.  



આ પણ વાંચો   :      Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?