જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલી જાણીતી સંકલ્પ રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસાયેલા ખોરાકમાંથી જીવાત નીકળવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટના પગલે મ.ન.પા.નો ફૂડ અને આરોગ્ય વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યો હતો. એક ગ્રાહક સંકલ્પ રેસ્ટોરન્ટમાં ઢોસા ખાવા ગયા અને તેઓને ઢોસો પીરસવામાં આવ્યો ત્યારે તેમને તેમાં જીવાત જોવા મળી હતી. ગ્રાહક દ્વારા તાત્કાલિક આ અંગે આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી.


સંકલ્પ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું

જેના કારણે સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો. જાણીતી અને પ્રતિષ્ઠિત ગણાતી આ સંકલ્પ રેસ્ટોરન્ટના ખોરાકમાં ગંભીર બેદરકારી સામે આવતા લોકોમાં પણ આશ્ચર્ય અને ચિંતાની લાગણી ફેલાઈ હતી. ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી લઈ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટીમે તાત્કાલિક સંકલ્પ રેસ્ટોરન્ટ ખાતે પહોંચીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. રેસ્ટોરન્ટમાં ચેકિંગ દરમિયાન અનિયમિતતા જણાતા તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. 

યોગ્ય પેસ્ટ કંટ્રોલ સહિત કામગીરી કરવા માટે આદેશ

વિભાગે સંકલ્પ રેસ્ટોરન્ટના સંચાલકોને બે દિવસ સુધી વેપાર-ધંધો બંધ રાખવા માટેનો લેખિત આદેશ આપ્યો છે. આ દરમિયાન રેસ્ટોરન્ટે સંપૂર્ણપણે સ્વચ્છતા જાળવવા તેમજ રસોડાની સફાઈ કરવા અને ફૂડ સેફ્ટીના ધોરણો મુજબ યોગ્ય પેસ્ટ કંટ્રોલ સહિતની તમામ જરૂરી કામગીરી કરવા માટે મ.ન.પા. દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે. 

  • Follow us on: