ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે BAMS ત્રીજા વર્ષની પરીક્ષા દરમિયાન શલ્યતંત્ર 1 વિષયનું પ્રશ્નપત્ર લીક થયું હોવાના આક્ષેપો સામે આવતાં જ ભારે દોડધામ મચી ગઈ છે.ગત 20 જુલાઈના રોજ સવારે આ પરીક્ષા યોજાઈ હતી.પરીક્ષા પૂર્ણ થયા બાદ સોશિયલ મીડિયામાં પ્રશ્નપત્રને અદ્દલ મળતું આવતું મટિરિયલ વાયરલ થતાં પેપર લીક થયું હોવાની પ્રબળ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને પગલે યુનિવર્સિટી વહીવટીતંત્રે તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા છે.
એસોસિએટ પ્રોફેસર કક્ષાના અધિકારીનો સમાવેશ
યુનિવર્સિટીમાં 17 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન વિવિધ વિષયોની પરીક્ષાઓ ચાલી રહી છે.ત્યારે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને પરીક્ષા પ્રક્રિયાની વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે યુનિવર્સિટી દ્વારા ઉચ્ચસ્તરીય ત્રણ સભ્યોની ઇન્ક્વાયરી કમિટીની રચના કરવામાં આવી છે.આ તપાસ સમિતિમાં પ્રિન્સિપાલ કક્ષાના બે અધિકારીઓ અને એક એસોસિએટ પ્રોફેસર કક્ષાના અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેઓ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરશે.
