જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં આવેલી રંગમતી પાર્ક શેરી નં. 2 માં એક રહેણાંક મકાનની જર્જરિત છત અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મકાનની છત અચાનક તૂટી પડતાં જ જોરદાર અવાજ સાથે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં મકાનની અંદર હાજર પરિવારના 3 સભ્યો કાટમાળ નીચે દટાઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
દંપતી અને પુત્ર કાટમાળ નીચે દટાયા, ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ
આ અકસ્માતમાં મકાનમાં રહેતા ઘરના મોભી પ્રતાપગીરી ગૌસ્વામી, તેમના પત્ની ડોલીબેન પ્રતાપગીરી ગૌસ્વામી અને તેમનો પુત્ર કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ટીમે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને કાટમાળ નીચે ફસાયેલા ત્રણેય લોકોને સુરક્ષિત બહાર કાઢીને સફળ રેસ્ક્યુ કર્યું હતું.

