જન્માષ્ટમીના પવિત્ર તહેવાર દરમિયાન દ્વારકાધીશના દર્શનાર્થે જતા યાત્રાળુઓનો ભારે ધસારો ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મુસાફરોની વધારાની ભીડને પહોંચી વળવા અને મુસાફરી વધુ સુગમ બનાવવા માટે ગાંધીનગર પાટનગર અને જગત મંદિર દ્વારકા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન (Janmashtami Special Train) દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી ઉત્તર ગુજરાત અને અમદાવાદ આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓને સીધો ફાયદો થશે.
3 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર દરમિયાન બંને દિશામાં કુલ 6 ટ્રીપ દોડશે
રેલવે પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ટ્રેન નંબર 09521/09522 ગાંધીનગર રાજધાની-દ્વારકા અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન તરીકે સેવા આપશે. આ ખાસ ટ્રેન 3, 4 અને 5 સપ્ટેમ્બર, 2026 ના રોજ બંને દિશામાં દોડાવાશે. આ 3 દિવસ દરમિયાન ટ્રેનની કુલ 6 ટ્રીપનું સંચાલન કરવામાં આવશે, જેથી મુસાફરોને તહેવારના દિવસોમાં કન્ફર્મ મુસાફરીનો વિકલ્પ મળી રહેશે.
ગાંધીનગર અને દ્વારકાથી ટ્રેનનો સમયપત્રક
મુસાફરોની સગવડ માટે રાત્રિ અને દિવસના સમયનું આયોજન કરવામાં આવ્યું છે.
- ટ્રેન નં. 09521 (ગાંધીનગર રાજધાનીથી દ્વારકા): આ ટ્રેન ગાંધીનગર રાજધાની સ્ટેશનથી રાત્રે 8:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 5:50 વાગ્યે દ્વારકા પહોંચાડશે.
- ટ્રેન નં. 09522 (દ્વારકાથી ગાંધીનગર રાજધાની): પરત ફરતી વખતે આ ટ્રેન દ્વારકાથી સવારે 6:50 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સાંજે 5:00 વાગ્યે ગાંધીનગર રાજધાની પહોંચશે.
રૂટના મુખ્ય 13 સ્ટેશનો પર આપવામાં આવ્યું સ્ટોપેજ
આ જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન (Janmashtami Special Train) મુસાફરોની સુવિધા માટે રૂટ પરના મહત્વના સ્ટેશનો પર ઊભી રહેશે. બંને દિશામાં આ ટ્રેનને ચાંદલોડિયા બી, આંબલી રોડ, વિરમગામ, લખતર, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, કનાલુસ, ખંભાળિયા અને ભાટિયા સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે, જેથી સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોના મુસાફરો પણ આ સેવાનો લાભ લઈ શકશે.
https://twitter.com/drmadiwr/status/2095043439968849958
તમામ જનરલ કોચ અને ઓનલાઈન વિગતોની સુવિધા
આ ટ્રેન (Janmashtami Special Train)ની મુખ્ય ખાસિયત એ છે કે, તેમાં તમામ કોચ જનરલ ક્લાસ રહેશે, જેથી મુસાફરો તાત્કાલિક ટિકિટ મેળવીને પણ મુસાફરી કરી શકશે. ટ્રેનના રૂટ, ચોક્કસ સમય, સ્ટોપેજ અને કોચ સંરચના અંગેની વધુ અને વિગતવાર માહિતી મેળવવા માટે રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Janmashtami 2026: જન્માષ્ટમી પહેલા અજમાવી જુઓ, પૂજાના તાંબા અને પિત્તળના વાસણો ચમકાવશે 4 સરળ દેશી ઉપાય