જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાંથી ખેડૂતોના ભારે આક્રોશનો કિસ્સો સામે આવ્યો છે. માંગરોળ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને તંત્રની નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જમીનમાં પથ્થર કાઢવાના સર્વેની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોતાની જમીન બચાવવા અને અન્યાયી સર્વે અટકાવવા માટે ખેડૂતોએ મામલતદાર કચેરી સામે સૂત્રોચ્ચાર કરીને કચેરી પરિસર ગજવી મૂક્યું હતું.

સર્વેની કામગીરી સામે ખેડૂતોનો સખત વિરોધ

કચેરી બહાર એકઠા થયેલા આક્રોશિત ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં આકરો વલણ અપનાવતા જણાવ્યું હતું કે, જમીનમાં પથ્થર કાઢવા માટે કરવામાં આવતી સર્વેની કામગીરી કોઈપણ સંજોગોમાં મંજૂર કરવામાં આવશે નહીં. ખેડૂતોનો આરોપ છે કે આ સર્વેથી તેમની કિંમતી જમીન અને ખેતીને મોટું નુકસાન પહોંચી શકે તેમ છે. ખેડૂતોના આક્રમક વલણને કારણે માંગરોળ શહેરમાં વાતાવરણ અત્યંત ગરમાઈ ગયું હતું.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ખેડૂતોના આકસ્મિક અને ભારે વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મામલતદાર કચેરી બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે. વહીવટી તંત્ર દ્વારા ખેડૂતો સાથે વાટાઘાટો કરીને સ્થિતિને શાંત પાડવાના અને તેમની રજૂઆતો સાંભળવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Ahmedabadમાં TPC મુદ્દે AMCની તવાઈ, ઈસનપુરનું જલારામ ખમણ હાઉસ સીલ