ગિરનાર પર્વત પર માનવ અને વન્યજીવો વચ્ચે થતા સંઘર્ષની ઘટનાઓને રોકવા તેમજ યાત્રાળુઓની સુરક્ષા મજબૂત કરવાના હેતુથી વન વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત 11 જુલાઈના રોજ ગિરનાર પર એક બાળકને સિંહે ફાડી ખાવાની અત્યંત કરુણ અને હચમચાવી નાખનારી ઘટના બની હતી. આ ઘટના બાદ ગુજરાત સરકારના વન મંત્રી અર્જુન મોઢવાડીયા દ્વારા ગિરનાર વિસ્તારમાં ટ્રેકરોની વિશેષ ટીમ તૈનાત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતના અમલરૂપે વન વિભાગ દ્વારા 25 ટ્રેકરોની પસંદગી કરીને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

સાસણ ખાતે વિશેષ તાલીમ બાદ ટ્રેકરોની તૈનાતી

પસંદગી પામેલા આ 25 ટ્રેકરોને સાસણ ગીર ખાતે વન્યજીવો, ખાસ કરીને સિંહની વર્તણૂક અને તેમની હિલચાલને ઓળખવા અંગેની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ આ તમામ 25 ટ્રેકરોને હવે ફરજ પર નિયુક્ત કરી દેવામાં આવ્યા છે. આ નવનિયુક્ત ટ્રેકરો ગિરનાર પર્વતની નવી સીડી, જૂની સીડી તેમજ દાતારની સીડી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરશે. તેઓ સિંહ અને અન્ય વન્યપ્રાણીઓની હાજરી અને તેમની ગતિવિધિઓ પર ચોવીસે કલાક બારીકાઈથી નજર રાખશે.

DCF અક્ષય જોશીના માર્ગદર્શન હેઠળ યાત્રાળુઓની સુરક્ષા વધારાશે

ડીસીએફ (DCF) અક્ષય જોશીની સૂચનાથી અમલમાં મુકાયેલી આ વ્યવસ્થા અંતર્ગત જૂનાગઢ ડુંગર દક્ષિણ રેન્જના આરએફઓ અને ભવનાથ રાઉન્ડના ફોરેસ્ટર સહિતના સ્ટાફે ટ્રેકરોને સ્થળ પર જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ટ્રેકરોને વન્યજીવોના પગલાં અને હાજરીના સંકેતો ઓળખવા તેમજ કોઈપણ અસામાન્ય હિલચાલ જણાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા તાકીદ કરાઈ છે. આ નવીન વ્યવસ્થાથી ગિરનાર આવતા લાખો યાત્રાળુઓ અને પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત થશે અને માનવ-પ્રાણી સંઘર્ષ અટકાવવામાં મોટી સફળતા મળશે.

આ પણ વાંચો : Ahmedabad News : AMC ના વિકાસકામોમાં ભ્રષ્ટાચાર પર વિરામ, સ્વતંત્ર ક્વોલિટી કંટ્રોલ ટીમ કરશે 'સરપ્રાઇઝ ચેકિંગ'