ગિરનાર પર્વત પર માનવ અને વન્યજીવો વચ્ચે થતા સંઘર્ષની ઘટનાઓને રોકવા તેમજ યાત્રાળુઓની સુરક્ષા મજબૂત કરવાના હેતુથી વન વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત 11 જુલાઈના રોજ ગિરનાર પર એક બાળકને સિંહે ફાડી ખાવાની અત્યંત કરુણ અને હચમચાવી નાખનારી ઘટના બની હતી. આ ઘટના બાદ ગુજરાત સરકારના વન મંત્રી અર્જુન મોઢવાડીયા દ્વારા ગિરનાર વિસ્તારમાં ટ્રેકરોની વિશેષ ટીમ તૈનાત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતના અમલરૂપે વન વિભાગ દ્વારા 25 ટ્રેકરોની પસંદગી કરીને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
સાસણ ખાતે વિશેષ તાલીમ બાદ ટ્રેકરોની તૈનાતી
પસંદગી પામેલા આ 25 ટ્રેકરોને સાસણ ગીર ખાતે વન્યજીવો, ખાસ કરીને સિંહની વર્તણૂક અને તેમની હિલચાલને ઓળખવા અંગેની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ આ તમામ 25 ટ્રેકરોને હવે ફરજ પર નિયુક્ત કરી દેવામાં આવ્યા છે. આ નવનિયુક્ત ટ્રેકરો ગિરનાર પર્વતની નવી સીડી, જૂની સીડી તેમજ દાતારની સીડી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરશે. તેઓ સિંહ અને અન્ય વન્યપ્રાણીઓની હાજરી અને તેમની ગતિવિધિઓ પર ચોવીસે કલાક બારીકાઈથી નજર રાખશે.
