રણપ્રદેશ અને સુકા મલક તરીકે જાણીતા કચ્છમાં ખેડૂતોએ બાગાયત ખેતી થકી ખેતી ક્ષેત્રે પ્રગતિ કરી છે. કચ્છમાં થતી ખારેકની ખેતીએ વિશાળ ઉદ્યોગ જેવું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં થયેલા દેશી ખારેક અને બારાહી ખારેકનો 400 કરોડનો કારોબાર કરીને જિલ્લાના અર્થ તંત્રમાં પ્રાણવાયુ ફૂંકી અર્થતંત્ર મજબુત કરશે.


કચ્છ જિલ્લામાં 18,000 હેકટરમાં ખારેકનું વાવેતર કરવામાં આવ્યું

કચ્છ જિલ્લામાં વર્ષોથી ખેડૂતો ખારેકનું વાવેતર કરી રહ્યા છે. વર્ષો પહેલા કચ્છનો મુન્દ્રા તાલુકો ખારેક માટેનું હબ માનવામાં આવતો હતો. 2001ના વિનાશકારી ભૂકંપ બાદ તમામ ક્ષેત્રો સાથોસાથ ખેતીમાં પણ આમૂલ પરિવર્તનનો વાયરો ફુંકાયા બાદ બાગાયત ખેતીના નવા દોરમાં દેશી અને બારહી ખારેકનું વાવેતર શરુ થયું હતું. કચ્છની ફળદ્રુપ જમીન અને વાતાવરણ ખારેક પાક માટે અનુકુળ હોવાને કારણે કચ્છી ખારેકમાં મીઠાશ હોય છે. કચ્છમાં ઉનાળો લાંબો ચાલે છે, જેના કારણે ખારેકના પાકને ગરમી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. આથી ભારતમાં એકમાત્ર સૌથી સારી ખારેક માત્ર કચ્છમાં થાય છે. ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં 18,000 હેકટરમાં ખારેકનું વાવેતર કરવામાં આવ્યું છે. કચ્છ મુખ્યત્વે દેશી ખારેક અને બારાહી ખારેકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. કચ્છના ખેડૂતો વિદેશમાં ખારેકને એક્સપોર્ટ કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે.

કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા રાખવામાં આવી

ભુજના લાખોંદ રોડ નજીક 12 એકર જમીનમાં સેન્ટર ઓફ એક્સેલેન્સ ઓફ ડેટ પામ તૈયાર કરવામાં આવ્યું છે. લાખોંદ નજીક આવેલ ખારેક ઉત્કૃષ્ઠતા કેન્દ્રનું ભારત અને ઈઝરાયેલના વડાપ્રધાન દ્વારા વર્ષ 2018માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કચ્છમાં ખારેકની ખેતી કરતા ખેડૂતો માટે અત્યાધુનિક સુવિધાથી સજ્જ સેન્ટર નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં સેમિનાર યોજી ખેડૂતોને ટેક્નોલોજી અને આધુનિક રીતે ખારેકની ખેતી અંગે તાલીમ આપવામાં આવે છે. ખેડૂતો લાંબા સમય સુધી પોતાની ખારેક સાચવી શકે તે માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા રાખવામાં આવી છે. જેના કારણે ખેડૂતો અહિયાં ખારેકનું સ્ટોરેજ કરી પેકિંગ કરી બજારમાં વેચી સારા ભાવ મેળવી રહ્યા છે.

ઈન્ડો ઈઝરાયેલ પ્રોજેક્ટ અંતર્ગત ખારેક ઉત્કૃષ્ઠતા સેન્ટર તૈયાર કરવામાં આવ્યું

ભારત અને ઈઝરાયેલ સરકારના ઈન્ડો ઈઝરાયેલ પ્રોજેક્ટ અંતર્ગત ખારેક ઉત્કૃષ્ઠતા સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. ખારેક માટે જાણીતા કચ્છના ખેડૂતો માટે સેન્ટર ખુબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. બાગાયત વિભાગ દ્વારા દર વર્ષે હજારો ખેડૂતોનો સેમિનાર યોજી ખારેકની આધુનિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. જેના કારણે ખારેકની ખેતી કરતા ખેડૂતો માટે સેન્ટર ખુબ જ ઉપયોગી સાબિત થયું છે.

  • Follow us on: