PM નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ આપેલા સંબોધનમાં રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદના મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે "આ સરદાર પટેલનું ભારત છે, તે પોતાની સુરક્ષા અને સન્માનથી ક્યારે સમાધાન નથી કરતું." PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ હંમેશા આતંકવાદ સામે નતમસ્તક રહી છે, જેના કારણે દેશે વર્ષો સુધી ભોગવવું પડ્યું. જોકે, તેમણે ગર્વ સાથે ઉમેર્યું કે આજનું ભારત દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારે છે અને રાષ્ટ્રીય સુરક્ષાને લઈને કોઈ સમાધાન કરતું નથી.


નક્સલવાદ અને ઘૂસણખોરી પર સંકલ્પ

PM મોદીએ દેશ સામેના બે મોટા પડકારો – નક્સલવાદ અને ઘૂસણખોરી પર વાત કરી હતી. તેમણે કહ્યું કે 2014 પહેલા નક્સલીઓ ખુલ્લેઆમ ફરમાનો જાહેર કરતા અને શાળા, કોલેજ, હોસ્પિટલોને ઉડાવી દેતા હતા. પરંતુ 2014 બાદ તેમની સરકારે નક્સલવાદ અને માઓવાદ પર જોરદાર પ્રહાર કર્યો છે, અને અર્બન નક્સલીઓને પણ ઠેકાણે પાડ્યા છે. તેમણે સંકલ્પ દોહરાવ્યો કે નક્સલવાદનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી જંપશું નહીં. આ ઉપરાંત, તેમણે લોકોને ભારતમાં રહેતા દરેક ઘૂસણખોરોને બહાર કાઢવાનો સંકલ્પ લેવા પણ હાકલ કરી, કારણ કે કેટલાક લોકો ઘૂસણખોરીને મદદ કરે છે.

કોંગ્રેસ પર વિભાજન અને ગુલામીની માનસિકતાનો આરોપ

PM એ કોંગ્રેસ પર સરદાર સાહેબના વિઝનને ભુલાવી દેવાનો અને દેશના વિભાજનનો પાયો નાખવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસે કાશ્મીરનો એક ભાગ ગુમાવ્યો અને અંગ્રેજો પાસેથી ગુલામીની માનસિકતા પણ મેળવી. સૌથી મોટો આઘાતજનક આરોપ લગાવતા તેમણે કહ્યું કે જે કાર્ય અંગ્રેજો ન કરી શક્યા, તે કાર્ય કોંગ્રેસે 'વંદે માતરમ્'ને વિભાજિત કરીને કરી બતાવ્યું. અંતમાં તેમણે 'એકતાના શપથ' લીધાનું જણાવીને લોકતંત્રમાં મતભેદ સ્વીકાર્ય છે, પરંતુ મનભેદ ન હોવો જોઈએ તેવો સંદેશ આપ્યો.

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ

આજે, શુક્રવાર, 31 ઓક્ટોબરના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા નગર ખાતે લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. PM મોદીએ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, 182 મીટર ઊંચી 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' પર પહોંચીને પુષ્પાંજલિ અર્પી અને તેમને નમન કર્યા હતા. આ દિવસને 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે, અને આ પ્રસંગે PM મોદીએ ગૌરવપૂર્ણ પરેડમાં પણ સલામી લીધી હતી.

પરેડમાં 'મહિલા શક્તિ'નું શાનદાર પ્રદર્શન

આ વર્ષની 'રાષ્ટ્રીય એકતા દિવસ' પરેડનું સૌથી મોટું અને મુખ્ય આકર્ષણ 'મહિલા શક્તિ' રહી. પરેડમાં ભાગ લેનાર તમામ ટુકડીઓનું નેતૃત્વ મહિલા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જે નારી ગૌરવ અને સશક્તિકરણનું પ્રતીક છે. વડાપ્રધાનને આપવામાં આવેલા ગાર્ડ ઓફ ઓનરનું નેતૃત્વ પણ ગુજરાત કેડરના અનુભવી IPS અધિકારી સિમરન ભારદ્વાજ દ્વારા કરવામાં આવ્યું હતું. દિલ્હીની ગણતંત્ર દિવસ પરેડની તર્જ પર આયોજિત આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF સહિત સોળથી વધુ દળોની ટુકડીઓએ ભાગ લીધો હતો.

શૌર્ય અને સંગીતનો સમન્વય

આ પરેડમાં દેશના શૌર્ય અને બલિદાનને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું. BSFના સોળ મેડલ વિજેતાઓ અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતાઓ, જેમણે ઝારખંડમાં નક્સલ વિરોધી કામગીરી અને પશ્ચિમી સરહદ પર ઓપરેશન સિંદૂર જેવા મહત્વના મિશનમાં ભાગ લીધો હતો, તેમણે ગૌરવભેર પરેડમાં કદમ મિલાવ્યા. પરેડનું નેતૃત્વ 100 સભ્યોની હેરાલ્ડિંગ ટીમ દ્વારા કરવામાં આવ્યું, જ્યારે નવ બેન્ડ ટુકડી અને ચાર સ્કૂલ બેન્ડના સુરીલા સંગીતે સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું.



  • Follow us on: