કચ્છમાં સતત ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યાં છે. આજે સવારે સાત વાગ્યાની આસપાસ ધોળાવીરા નજીક 3.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 26 કિમી દૂર નોંધાયું હતું. છેલ્લા નવ દિવસમાં કચ્છમાં 3થી વધુની તીવ્રતાના 4 આંચકા નોંધાયા છે. સતત આવી રહેલા ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.


જુલાઈ મહિનામાં સાત આંચકા નોંધાયા

કચ્છમાં આવેલી 13 જેટલી ફોલ્ટ લાઇનના કારણે ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે .જુલાઈ માસમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહેતા એક જ મહિનામાં ત્રણથી વધુની તીવ્રતાના 7 જેટલા આંચકા નોંધાયા છે.28 જુલાઈ રાત્રે ખાવડાથી 40 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતો 3.2ની તિવ્રતાનો આંચકો આવ્યો હતો. 31 જુલાઈએ સવારે 9 વાગ્યાની આસપાસ 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્ર બિંદુ બેલાથી 16 કિ.મી દૂર નોંધાયું હતું.

2001ના ભૂકંપ બાદ સતત હળવા આંચકા નોંધાઈ રહ્યા છે

કચ્છમાં આવેલા 2001ના ભૂકંપ બાદ સતત હળવા આંચકા નોંધાઈ રહ્યા છે. થોડા સમયથી વધી રહેલા ભૂકંપના આંચકાએ ચિંતા વધારી છે.કચ્છના ભચાઉ રાપર અને દુધઈ નજીક સૌથી વધારે ભૂકંપના આંચકા આવી રહ્યા છે. થોડા દિવસથી ખાવડા નજીક ભૂકંપના આંચકા નોંધાતા ચિંતાનો વિષય બન્યો છે.એક સદી જૂની નગરપારકર ફોલ્ટ લાઈનમાં ફરી ભુકંપનો આંચકો નોંધાયો હતો. કચ્છ બોર્ડર પાસે આવેલી નગરપારકર ફોલ્ટ લાઈન ફરી એકવાર સક્રિય થઈ છે.ખાવડા નજીક આવેલા ગોરા ડુંગર ફોલ્ટ લાઇન એક્ટિવ થતા સંશોધન હાથ ધરવામાં આવ્યું છે.તાજેતરમાં આ ફોલ્ટ લાઈન પર બે આંચકા નોંધાતા સંશોધન હાથ ધરવામાં આવ્યું છે.


  • Follow us on: