કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતેથી ઘરવિહોણા લોકોએ પોતાની આવાસ અને જમીન સંબંધિત માગણીઓ સાથે ભુજ તરફ પગપાળા હિજરત શરૂ કરી છે. બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવાની આગેવાની હેઠળ આ કૂચનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 55 દિવસથી સતત આંદોલન ચલાવી રહેલા આ ઘરવિહોણા લોકોની માગણીઓ અંગે તંત્ર દ્વારા કોઈ યોગ્ય કે સાનુકૂળ નિર્ણય ન લેવાતાં આખરે આશરાવિહોણા પરિવારોએ રસ્તા પર ઉતરીને મોરચો માંડવાની ફરજ પડી છે.
તંત્રની ઉદાસીનતા સામે 1000થી વધુ લોકો રસ્તા પર
ગાંધીધામથી શરૂ થયેલી આ કૂચમાં આશરે એક હજાર જેટલા ઘરવિહોણા પુરુષો, મહિલાઓ અને પરિવારો જોડાયા છે. છેલ્લા 55 દિવસથી શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર કે સત્તાધીશો દ્વારા આ શ્રમજીવી વર્ગની કોઈ સાંભળ લેવામાં આવી ન હતી. તંત્રના આ અણઘડ અને ઉદાસીન વલણ સામે લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે અને બહુજન આર્મીના નેજા હેઠળ તમામ લોકો એકજૂટ થઈને ન્યાયની માગ સાથે ભુજ તરફ આગળ વધી રહ્યા છે.
