નેપાળમાં સર્જાયેલી દુર્ઘટના બાદ મૃતકો અને ગુમ થયેલા લોકોની આઈડેન્ટિફિકેશન પ્રક્રિયા માટે ગુજરાતનું ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) મહત્ત્વની જવાબદારી સંભાળશે. આ ખાસ કામગીરી માટે ગાંધીનગર FSL ના 10 કુશળ અને અનુભવી ફોરેન્સિક અધિકારીઓની એક વિશેષ ટીમ નેપાળ જવા માટે રવાના થઈ ચૂકી છે. આ ટીમ ત્યાં 'ડિઝાસ્ટર વિક્ટિમ આઇડેન્ટિફિકેશન' (DVI) ની અત્યંત જટિલ અને સંવેદનશીલ કામગીરી હાથ ધરશે, જેથી કરીને દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોની સચોટ સાયન્ટિફિક ઓળખ કરી શકાય.

ફોરેન્સિક્સ હેડના નેતૃત્વમાં થશે DNA સેમ્પલ મેચિંગ

ગાંધીનગર FSLના DNA ફોરેન્સિક્સ વિભાગના હેડના સીધા નેતૃત્વ હેઠળ આ સમગ્ર આંતરરાષ્ટ્રીય ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. દુર્ઘટના સ્થળેથી મળી આવેલા મૃતદેહો કે અવશેષોના DNA સેમ્પલ એકત્રિત કરીને તેને ગુમ થયેલા લોકોના સગા-સંબંધીઓના DNA સાથે મેચ કરવામાં આવશે. ફોરેન્સિક સાયન્સની આ આધુનિક ટેકનિકથી અજાણ્યા કે છિન્નભિન્ન થઈ ગયેલા મૃતદેહોની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવામાં મદદ મળશે.

વિદેશ અને ગૃહ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ પરિવારોને મળશે સાચી માહિતી

આ સમગ્ર મિશન ભારત સરકારના વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયના પ્રત્યક્ષ માર્ગદર્શન અને દખલગીરી હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે. DNA સેમ્પલ મેચિંગની સફળ પ્રક્રિયા બાદ, સ્વજનોની રાહ જોઈને બેઠેલા પિડિત પરિવારોને તેમના ગુમ થયેલા સભ્યો અંગેની સચોટ માહિતી આપવામાં આવશે. ગાંધીનગર FSL ના આ માનવતાવાદી પ્રયાસથી અનેક શોકગ્રસ્ત પરિવારોને પોતાના વહાલસોયા વિશે આખરી અને સત્તાવાર વિગતો પ્રાપ્ત થઈ શકશે.

આ પણ વાંચો : Banaskantha News : ખેમાણાથી ખીમાણા બાયપાસમાં મોટો ફેરફાર, 26ને બદલે 13 ગામોમાંથી પસાર થશે નવો રૂટ