જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા ગામે આજે એક અત્યંત કરૂણ ઘટના બની હતી. જેમાં એક સિંહણનું કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ બનાવને કારણે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને વન વિભાગે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારે એક સિંહણ દિવાસા ગામના રહેણાંક મકાનમાંથી ઘૂસી આવી હતી. રહેણાંક વિસ્તારમાં અચાનક સિંહણના આવી જવાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
રહેણાંક મકાનમાંથી ઘૂસી હતી સિંહણ
સિંહણ પણ લોકોની હાજરીથી ગભરાઈને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. ભાગવાના પ્રયાસમાં સિંહણ ગામ નજીક આવેલી એક કેનાલમાં પડી ગઈ હતી. કેનાલના પાણીમાં પડ્યા બાદ સિંહણ બહાર નીકળવા માટે ફાંફા મારી રહી હતી. પરંતુ કેનાલમાં રહેલા ઘાસમાં તેના પગ ફસાઈ ગયા હતા. પરિણામે તે પાણીમાંથી બહાર નીકળી શકી નહોતી અને ડૂબી જવાથી તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક દિવાસા ગામે પહોંચી હતી.













