દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા પંથકમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા 52 વર્ષીય આધેડે સલાયા સ્થિત પોતાના મકાનમાં ઝેરી દવા ગટગટાવી લેતા ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ આધેડનું મોત નિપજતા એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.
જામ ખંભાળીયામાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત
મળતી વિગત મુજબ, જામ ખંભાળિયામાં રહેતા જિતેન્દ્રભાઈ વડોલીયા (ઉં. ૫૨) એ સલાયામાં આવેલા પોતાના જૂના મકાન ખાતે કોઈ ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ તેમને તાત્કાલિક જામ ખંભાળિયાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જોકે, તેમની તબિયત વધુ લથડતા ગંભીર હાલતમાં જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.










