સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ તેજ બનતા જ અમદાવાદ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે 'સેન્સ' લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શહેરના વિવિધ વોર્ડમાં ટિકિટ મેળવવા માટે કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઘાટલોડિયા વિધાનસભા હેઠળ આવતા વોર્ડમાં પ્રક્રિયા તેજ બની છે.

ગોતા વોર્ડમાં 55 દાવેદારો

મળેલી વિગતો મુજબ, ઘાટલોડિયા વિધાનસભાના બે મહત્વના વોર્ડમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ગોતા વોર્ડમાં ૫૫ અને ઘાટલોડિયા વોર્ડમાં 35 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. હાલમાં થલતેજ અને બોડકદેવ વોર્ડમાં નિરીક્ષકો દ્વારા દાવેદારોને સાંભળવાની કામગીરી ચાલુ છે.

નિકોલ વોર્ડમાં સૌથી વધુ 80 થી વધુ દાવેદારો મેદાને

 પૂર્વ વિસ્તારની વાત કરીએ તો, નિકોલ વોર્ડમાં સૌથી વધુ 80 થી વધુ દાવેદારો મેદાને આવ્યા છે, જ્યારે ઓઢવમાં 66 અને વિરાટનગરમાં 33 કાર્યકરોએ ટિકિટની માંગ કરી છે.

સરખેજ વોર્ડમાં 63 દાવેદારો

પશ્ચિમ અમદાવાદના અન્ય વોર્ડમાં પણ આંકડા ચોંકાવનારા છે. સરખેજ વોર્ડમાં 63, જોધપુર વોર્ડમાં 36, વેજલપુર વોર્ડમાં 32 અને મકતમપુરમાં 16 દાવેદારોએ પોતાની પ્રબળ દાવેદારી રજૂ કરી છે. ભાજપના નિરીક્ષકો દરેક દાવેદારની પ્રોફાઇલ, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને સ્થાનિક લોકપ્રિયતાના આધારે રિપોર્ટ તૈયાર કરી પ્રદેશ નેતૃત્વને સોંપશે. દાવેદારોની આટલી મોટી સંખ્યા જોતા સંગઠન માટે પસંદગી કરવી લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે.


આ પણ વાંચો----     Sanand : SMCનો મોટો ધડાકો, 1.15 કરોડનો મુદ્દામાલ જપ્ત, કુખ્યાત 'ઓબામા' સહિત 9 વોન્ટેડ