અમદાવાદના નિકોલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિસ્તારમાં સક્રિય અસામાજિક તત્વો અને કથિત બુટલેગરે એક યુવક સહિત માસૂમ બાળક પર હિંસક હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. જોકે, આ ઘટનામાં પોલીસની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

ઘટનાની વિગતો

મળતી માહિતી મુજબ, નિકોલમાં સ્થાનિક બુટલેગર અને તેના સાગરીતોએ સામાન્ય બાબતે ઉશ્કેરાઈને એક નિર્દોષ યુવક અને તેની સાથે રહેલા નાના બાળક પર હુમલો કર્યો હતો. અસામાજિક તત્વોએ જાહેરમાં આતંક મચાવી બાળકને પણ નિશાન બનાવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફરિયાદીનો આક્ષેપ છે કે હુમલાખોર વિસ્તારનો જાણીતો બુટલેગર છે અને તે અવારનવાર લોકોને ડરાવવા-ધમકાવવાનું કામ કરે છે.

પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો

આ મામલે જ્યારે ભોગ બનનાર પરિવાર નિકોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો, ત્યારે પોલીસની કાર્યવાહીથી તેઓ સંતુષ્ટ જણાયા ન હતા. ફરિયાદીએ ગંભીર આરોપ લગાવ્યો છે કે, હુમલો જીવલેણ હોવા છતાં પોલીસે આરોપી વિરુદ્ધ માત્ર સામાન્ય કલમો હેઠળ જ ગુનો નોંધ્યો છે. આક્ષેપ એવો પણ છે કે પોલીસ જાણીજોઇને સ્થાનિક બુટલેગરને બચાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેથી જ ફરિયાદમાં કડક કલમોનો ઉમેરો કરવામાં આવ્યો નથી.

જનતામાં ફફડાટ

શહેરમાં સતત વધતી જતી ગુંડાગીરી અને તેમાં પણ જ્યારે પોલીસ પર જ બુટલેગરોને છાવરવાના આક્ષેપ લાગે ત્યારે સામાન્ય જનતાની સુરક્ષા પર મોટું પ્રશ્નાર્થ ચિન્હ ઉભું થાય છે.


આ પણ વાંચો----    Gandhinagar : ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું, ભાજપે દિગ્ગજોને સોંપી જવાબદારી, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની જાહેરાત