અમદાવાદના ઐતિહાસિક જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર ખાતે ગત 20 એપ્રિલે અક્ષય તૃતીયાના મંગલ પર્વ પર 149મી રથયાત્રાની તૈયારીઓનો વિધિવત પ્રારંભ થયો હતો. દર વર્ષની પરંપરા મુજબ આ દિવસે ભગવાનના રથોનું પૂજન કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે રથપૂજનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. હવે ભગવાનના મામા બનવા માટે સરસપુર ખાતે ડ્રો યોજાયો હતો. જેમાં શહેરના મેમનગરના દવે પરિવારને આ તક મળી છે.

મેમનગરમાં રહેતા દવે પરિવારને આ મોકો મળ્યો

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગત અખાત્રીજના દિવસે ભગવાનના રથોનું પૂજન કરવામાં આવ્યું હતું. હવે ભગવાનના મામા બનવા માટે સરસપુર ખાતે ડ્રો યોજવામાં આવ્યો હતો. જેમાં શહેરના મેમનગરમાં રહેતા દવે પરિવારને આ મોકો મળ્યો છે. તેજસભાઈ દવે ભગવાનના મામા બનશે. સાત વર્ષ સુધી રાહ જોયા બાદ હવે તેમને આ તક મળી છે. ભગવાનનું મામેરુ તેઓ વાજતે ગાજતે કરશે.

ભગવાન જગન્નાથને શીતળતા અર્પતી ચંદનયાત્રાનો પ્રારંભ

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ભગવાનને શીતળતા આપવા માટે અખાત્રીજના દિવસે મંદિરમાં 'ચંદનયાત્રા'ની શરૂઆત કરવામાં આવી હતી.આ પરંપરાગત વિધિમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના વિગ્રહ પર ચંદનનો લેપ લગાવવામાં આવ્યો હતો.માન્યતા મુજબ, અક્ષય તૃતીયાથી શરૂ થતી આ ચંદનયાત્રા દ્વારા ભગવાનને શીતળ શૃંગાર કરવામાં આવે છે.રથપૂજન બાદ હવે રથોના સમારકામ, રંગરોગાન અને અન્ય વ્યવસ્થાઓને આખરી ઓપ આપવાની કામગીરી તેજ કરવામાં આવશે.આ વર્ષે રથયાત્રા 16 જુલાઈ, 2026 ના રોજ યોજાનાર છે.

આ પણ વાંચોઃ Gujarat Weather News: અંબાલાલ પટેલે ગરમીમાં રાહત મળે તેવા સંકેતો આપ્યા, આજથી ધીમે ધીમે તાપમાન ઘટશે