દર વર્ષની જેમ આ વર્ષે પણ એડમિશન પ્રક્રિયા શરૂ થતા જ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે જાતિ અને આવકના દાખલા મેળવવા એક કપરા ચઢાણ સાબિત થઈ રહ્યા છે. અમદાવાદની વિવિધ મામલતદાર કચેરીઓ અને જનસેવા કેન્દ્રો પર વ્યવસ્થાના અભાવે અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે.

સમસ્યાનું મુખ્ય કારણ

અરજદારોનો આક્ષેપ છે કે સરકારની ઓનલાઈન સિસ્ટમ અત્યંત ધીમી ચાલી રહી છે અથવા સર્વર ડાઉન રહે છે. પરિણામે, લોકોએ મજબૂરીમાં કચેરીઓ પર રૂબરૂ આવવું પડે છે. કાળઝાળ ગરમીમાં પીવાના પાણી કે બેસવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી નાના બાળકો સાથે આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓની હાલત કફોડી બની રહી છે.

એડમિશન અટકવાનો ડર

ધોરણ-10 અને 12 ના પરિણામો બાદ હવે ડિગ્રી-ડિપ્લોમા અને અન્ય કોલેજ એડમિશન માટે આ દાખલાઓ અનિવાર્ય છે. જો સમયસર દાખલા નહીં મળે તો એડમિશન પ્રક્રિયામાંથી બાકાત રહી જવાની ભીતિ વિદ્યાર્થીઓને સતાવી રહી છે. અનેક કેન્દ્રો પર વહેલી સવારના ૫-૬ વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા રહી જાય છે, છતાં મોડે સુધી તેમનો નંબર આવતો નથી.

આ પણ વાંચો:Kheda: ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટીમાં ધાબળા કૌભાંડ, ઈ-ટેન્ડરિંગના નિયમો નેવે મૂકનાર પ્રમુખ અને મંત્રીને જિલ્લા રજિસ્ટ્રારે ઘરભેગા કર્યા