અમદાવાદના દસક્રોઇ વિસ્તારમાં પસાર થતી ખારીકટ કેનાલમાં પાણી છોડવાના મુદ્દે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે દસક્રોઇના ધારાસભ્ય બાબુ પટેલે સિંચાઇ વિભાગ અને કોન્ટ્રાક્ટર સામે આકરો રોષ ઠાલવીને ખેડૂતોની વ્યથા રજૂ કરી છે.


ચાર વર્ષની લાંબી રાહ અને અધૂરો વિકાસ

ધારાસભ્ય બાબુ પટેલે જણાવ્યું હતું કે, ખારીકટ કેનાલની કામગીરી છેલ્લા ચાર વર્ષથી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તે પૂર્ણ થઈ નથી. વિકાસના નામે શરૂ થયેલું આ કામ હવે ખેડૂતો માટે મુસીબત બની ગયું છે. લાંબા સમયની રાહ જોયા બાદ પણ સિંચાઈનું પાણી ન મળતા ખેતીના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. તેમણે દુખ સાથે કહ્યું કે, ખેડૂતોના મોંએ આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે.

તંત્રની ઉદાસનીતા અને કોન્ટ્રાક્ટરની મનમાની

આ મુદ્દે ધારાસભ્યએ સિંચાઇ વિભાગને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં યોગ્ય નિકાલ આવ્યો નથી. બાબુ પટેલે સીધો આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા જાણીજોઇને ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. કામમાં વિલંબ અને પાણી ન છોડવાને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મૂકાયા છે.

સહાયનો અભાવ અને અનિશ્ચિત ભવિષ્ય

એક તરફ પાક નિષ્ફળ જઇ રહ્યો છે અને બીજી તરફ ખેડૂતોને સરકાર તરફથી હજુ સુધી કોઇ આર્થિક સહાય પણ મળી નથી. ખેડૂતોની આ વેદનાને વાચા આપતા ધારાસભ્યએ સ્પષ્ટ કર્યુ કે જો વહેલી તકે પાણી નહીં છોડાય તો સ્થિતિ વધુ ગંભીર બનશે.

આ પણ વાંચોઃ Gujarat News: વિશ્વગુરુ બનવાની ભારતની સફર,ભવિષ્યના ભારત અંગે યુવા પ્રોફેશનલ કરાઇ ચર્ચા


  • Follow us on: