અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં ચોરીની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઝવેરીવાડની લહેરીયા પોળમાં આવેલા જૈન દેરાસરમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા અને ગર્ભગૃહના ઉપરના ભાગના સળિયા તેમજ જાળી તોડી ચોરીને અંજામ આપ્યો હતો.
તસ્કરો રાત્રિના સમયે દેરાસરમાં ઘુસ્યા
પ્રાપ્ત માહિતી મુજબ તસ્કરો રાત્રિના સમયે દેરાસરમાં ઘુસ્યા હતા. તેમણે ગર્ભગૃહના ઉપરના ભાગમાં લાગેલા સળિયા અને લોખંડની જાળી તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મંદિરમાં સ્થાપિત ભગવાનની પ્રતિમાના આભૂષણો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલી વસ્તુઓમાં મુગટ, ટીકા, કપાલી, ભ્રમર અને ચક્ષુ સહિતના આભૂષણો સામેલ છે.













