સુપ્રિમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા શહેરમાં રખડતા ઢોરને કારણે સર્જાતા અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈને કડક પગલાં લેવા આપેલા આદેશને અનુસરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, અને નાગરિક સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે ‘ઝીરો ટોલરન્સ ટૂ કેટલ ન્યૂસન્સ' અભિયાનનો કડકાઇથી અમલ કરવાની કવાયત હાથ ધરી છે.
13 વિસ્તારોને ‘નો કેટલ ઝોન' જાહેર કરી દીધા છે
શહેર પોલીસ તથા SRP અને AMCની CNCDની ટીમો દ્વારા ગોતા, મોટેરા, સાબરમતી, એરપોર્ટ સહિત ૧૩ વિસ્તારોને નો કેટલ ઝોન જાહેર કર્યા છે અને મણીનગર વિસ્તારમાંથી તેનાં અમલીકરણનો પ્રારંભ કર્યો છે. આગામી કોમનવેલ્થ ગેમ્સનાં આયોજનનાં ભાગરૂપે ચોક્કસ શહેરી વિસ્તારોમાં રખડતાં ઢોર જોવા મળે નહિ તે માટે રાજ્ય સરકારની સૂચનાથી પોલીસ કમિશનરે મ્યુનિ. સત્તાધીશો સાથે ચર્ચાવિચારણા કરીને 13 વિસ્તારોને ‘નો કેટલ ઝોન' જાહેર કરી દીધા છે. CNCD વિભાગના આ જાહેરનામાનાં અમલીકરણ કરતાં મણીનગર વિસ્તારમાં તપાસ કરીને 19 લાયસન્સ ધારકોનાં 94 ગાય-ભેંસને શહેરની બહાર ખસેડવાની કાર્યવાહી કરી હતી તેમજ ૧૯ વાડા અને પાણીનો એક હવાડો તોડી પાડવામાં આવ્યો હતો.
મોટાભાગનાં વિસ્તારોમાં દિવસ દરમિયાન રખડતાં ઢોર જોવા મળતા નથી
હવે આગામી દિવસોમાં શહેરના CNCD વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર, શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં માલધારીઓ વસે છે અને ગાય-ભેંસ જેવા ઢોર રાખે છે, પરંતુ તેમનાં ઢોર રોડ ઉપર રખડતાં હોવાથી નાના- મોટા અકસ્માતો સર્જાય છે અને કેટલીકવાર ગંભીર અકસ્માતોને કારણે વાહનચાલકો કે રાહદારીઓને જાનહાનિ થાય તેવા અકસ્માત સર્જતાં હોવાનાં અનેક કિસ્સા બન્યા છે. રોડ પર રખડતાં ઢોરથી શહેરની ઈમેજ પણ ખરડાય છે. રખડતા ઢોરની સમસ્યાને લઈ હાઈકોર્ટનાં નિર્દેશો બાદ રાજ્ય સરકારે પોલીસી જાહેર કરી તેનાં અનુસંધાને મ્યુનિ. સીએનસીડી ખાતાએ કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યુ છે અને મોટાભાગનાં વિસ્તારોમાં દિવસ દરમિયાન રખડતાં ઢોર જોવા મળતા નથી.
નો કેટલ ઝોન જાહેર થતાં જ હવે આ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારનાં ઢોર રાખી શકાશે નહી
તેમ છતાં હજુય કેટલાક વિસ્તારોમાં રાતનાં સમયે ઢોર છુટા મુકી દેવાયેલાં જોવા મળતાં હોય છે. CNCD વિભાગના સૂત્રોએ કહ્યું કે, નો કેટલ ઝોન જાહેર થતાં જ હવે આ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારનાં ઢોર રાખી શકાશે નહિ અને તેના માટે સીએનસીડીખાતા દ્વારા લાયસન્સ કે પરમિટ ઇશ્યુ કરવામાં આવશે નહિ. એટલુ જ નહિ પરંતુ આ વિસ્તારોમાં અગાઉ અપાયેલાં લાયસન્સ અને પરમિટ વગેરે કેન્સલ કરવામાં આવશે અને લાયસન્સ ધરાવતાં પશુપાલકોએ તેમનાં ઢોર શહેર હદ બહાર લઇ જવા પડશે.
આ 13 વિસ્તારો 'નો કેટલ ઝોન'
ગોતા, નારણપુરા, સ્ટેડિયમ, પાલડી, સાબરમતી, નવા વાડજ, મોટેરા, મણીનગર, કાંકરીયા, સરદારનગર-એરપોર્ટ, ખાડિયા, નવરંગપુરા.
'નો કેટલ ઝોન' એટલે શું?
કોઈ પણ પ્રકારના ઢોર રાખી શકાશે નહીં. આ વિસ્તારોમાં સીએનસીડી ખાતા દ્વારા લાયસન્સ કે પરમિટ ઈસ્યું કરવામાં આવશે નહી. માલધારીઓને અગાઉ અપાયેલાં તમામ લાયસન્સ કે પરમિટ રદ થશે અને લાયસન્સ ધરાવતાં પશુપાલકોએ તેમનાં ઢોર શહેર હદની બહાર લઈ જવાની કરજ પડશે.
આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના પોશ વિસ્તારોમાં ઘરઘાટી જ ઘરફોડ ચોર, ઘરફોડ ચોરીના 90 ટકા આરોપી ઘરઘાટી નીકળ્યા