ઓડિશા પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત અને FICCIના સહયોગથી યોજાયેલા ત્રિદિવસીય કાર્યક્રમમાં ઓડિશાની જિવંત પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાને અમદાવાદના આંગણે પ્રસ્તુત કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં વિવિધ સ્ટોલ્સ તથા કલાકારો અને નૃત્યકારો દ્વારા ઓડિશાની કલા સંસ્કૃતિ, ઉત્કૃષ્ટ ભોજન, હસ્તકલા અને પ્રવાસન સ્થળોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

ઓડિશાના પરિવારોએ સુરતમાં આવીને પથ્થરને હીરા જેવી ચમક આપવાનું પ્રશંસનીય કાર્ય કર્યું

'ઓડિશા પર્વ'નો પ્રારંભ કરાવતાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત અને ઓડિશા વચ્ચેનો સંબંધ ભક્તિ અને કર્મના અતૂટ તાંતણે બંધાયેલો છે. જેમ ગુજરાત પર ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ છે, તેમ ઓડિશા પર મહાપ્રભુ જગન્નાથજીના આશીર્વાદ છે. આ બંને પવિત્રધામો કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. વધુમાં તેમણે ઉમેર્યું કે સુરતમાં હજારો ઉડિયા પરિવારો વસી રહ્યા છે અને તેઓ ગુજરાતના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે. સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ઓડિશાના યુવાનોની સહભાગીતાને બિરદાવતા તેમણે કહ્યું હતું કે ઓડિશાના પરિવારોએ સુરતમાં આવીને પથ્થરને હીરા જેવી ચમક આપવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે.

કલાકારોના કૌશલ્યને પ્રોત્સાહન પૂરું પાડવા અનુરોધ

સંઘવીએ ઓડિશા સરકાર અને ત્યાંના પ્રવાસન મંત્રીને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઓડિશાએ પ્રવાસન ક્ષેત્રે જે પરિવર્તનો લાવીને પ્રગતિ કરી છે તે એક સફળ મોડલ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઓડિશાની મુલાકાત લેશે. તેમણે રાજ્યના નાગરિકો અને ખાસ કરીને યુવાનોને ત્રણ દિવસીય 'ઓડિશા પર્વ'ની પરિવાર સાથે મુલાકાત લઈને ઓડિશાની ભવ્ય કલા, સંસ્કૃતિ અને ત્યાંથી પધારેલા કલાકારોના કૌશલ્યને પ્રોત્સાહન પૂરું પાડવા અનુરોધ કર્યો હતો.

'G2B'જેવી સંવાદ બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ બંને રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક જોડાણ મજબૂત કરવાનો અને લોકોને ઓડિશાના વિવિધ પ્રવાસન આકર્ષણોથી પરિચિત કરાવવાનો છે. ઉદ્ઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં લોકોએ સાંસ્કૃતિક મેળાની મુલાકાત લઈ ઓડિશાના 'લિવિંગ ટ્રેડિશન્સ'નો અનુભવ કર્યો હતો. વધુમાં, આ કાર્યક્રમમાં પ્રવાસન ક્ષેત્રના હિતધારકો અને ઉદ્યોગજગતના અગ્રણીઓ વચ્ચે પ્રવાસન અને સાંસ્કૃતિક ભાગીદારી ગાઢ બનાવવા માટે 'B2B' (Business to Business) અને 'G2B' (Government to Business) જેવી સંવાદ બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મોટી સંખ્યામાં બંન્ને રાજ્યોની કલા, સંસ્કૃતિ અને પ્રવાસન સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓડિશાના પુરીનું જગન્નાથ મંદિર, કોણાર્ક મંદિર, ઓડિસી નૃત્ય, જગવિખ્યાત રસગુલ્લા, મેલાનિસ્ટિક ટાઈગર અને પુરીના બ્લૂ ફ્લેગ બીચ સહિતનાં કલા, સંસ્કૃતિ અને પ્રવાસન આકર્ષણો દેશ વિદેશમાંથી દરવર્ષે પ્રવાસીઓને આકર્ષે છે. 'ઓડિશા પર્વ'ના ઉદ્ઘાટન સમારોહમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ઓડિશા સરકારના વિવિધ વિભાગોના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત ગુજરાતમાં વસતા ઓડિશાવાસીઓ તથા મોટી સંખ્યામાં બંન્ને રાજ્યોની કલા, સંસ્કૃતિ અને પ્રવાસન સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : Rajkot News : રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 8 જોડી ટ્રેનમાં કાયમી માટે થર્ડ AC કોચ જોડાશે