આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં રાજ્યના કુલ મતદારોના ૧૨ ટકાથી વધારે મતદારો નોંધાયેલા છે અને તેટલા જ પ્રમાણમાં વિધાનસભા બેઠકો પણ છે. આટલી વિશાળ સંખ્યામાં મતદારો હોવા છતાં જિલ્લામાં SIR સંદર્ભે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.

વિશેષ ડ્રાઇવ હેઠળ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે

જે મુજબ જિલ્લામાં નોંધાયેલા કુલ ૬૨,૫૯,૬૨૦ મતદારો પૈકી ૪૮,૦૧,૩૮૬ મતદારોના એન્યુમરેશન ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. જ્યારે કુલ ૧૪,૫૮,૨૬૯ મતદારોના ફોર્મ ASD એટલે કે મૃત્યુ પામેલા, ગેરહાજર (Untraceable/Absent), કાયમી ધોરણે સ્થળાંતરિત(Permanently Shifted) અને અન્ય કારણોસર પરત જમા થયા નથી. બીજી તરફ, અનમેપ્ડ રહેલા ૧૦,૪૩,૪૨૭ મતદારોની યાદી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ માટે તા. ૧૬મી ડિસેમ્બર સુધી BLO દ્વારા વિશેષ ડ્રાઇવ હેઠળ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મતદારો પોતાના વાંધાઓ તથા હક-દાવાઓ રજૂ કરી શકશે

જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતોના આધારે અગ્રસચિવ મુકેશ કુમારે જરૂરી સૂચનો પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ કલેક્ટર કચેરી સહિત જિલ્લાની તમામ પ્રાંત કચેરીઓ તેમજ અન્ય સરકારી કચેરીઓ ખાતે ખાસ મતદાર સહાયતા કેન્દ્રો પણ ઊભાં કરવામાં આવ્યાં છે. આગામી તા. ૧૯ ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવશે, જે આ તમામ કેન્દ્રો પર ઉપલબ્ધ રહેશે અને મતદારો પોતાના વાંધાઓ તથા હક-દાવાઓ રજૂ કરી શકશે. આજે યોજાયેલી આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર તેમજ વિવિધ વિધાનસભા મતવિસ્તારના ERO ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં રવિ સિઝન માટે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ