અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ધંધુકા તાલુકાના જીંજર ગામેથી જૂની અદાવત અને જમીન વિવાદને લઈને લોહિયાળ ઝઘડો સામે આવ્યો છે. જીંજર ગામમાં જમીનની માલિકી બાબતે ચાલી રહેલી જૂની અદાવતનો કરુણ અંજામ આવ્યો છે, જેમાં એક પક્ષ દ્વારા સામા પક્ષ પર ઘાતક હથિયારો વડે હિંસક હુમલો કરવામાં આવ્યો છે. આ ચકચારી હુમલાની ઘટનામાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રહી ચૂકેલા સ્થાનિક રાજકીય નેતા હરપાલસિંહ ચુડાસમાના પરિવારનું નામ સામે આવતાં સમગ્ર પંથકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

કાવતરામાં હરપાલસિંહ ચુડાસમાની સંડોવણી

મળતી પ્રાથમિક વિગતો મુજબ, આ હિંસક હુમલો હરપાલસિંહ ચુડાસમાના પરિવાર દ્વારા કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે. એટલું જ નહીં, પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં આ આખા હુમલાના ગુનાહિત કાવતરામાં ખુદ કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમાની સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું છે. રાજકીય કદ ધરાવતા નેતાનું નામ ગુનામાં ખુલતા જ સ્થાનિક પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે.

હત્યાના પ્રયાસ અને રાયોટિંગ હેઠળ ગુનો

આ ગંભીર લોહિયાળ સંઘર્ષ બાદ ભોગ બનનાર પક્ષ દ્વારા ધંધુકા પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હાલમાં ધંધુકા પોલીસ મથકમાં હુમલાખોરો વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસ આ મામલાની ગંભીરતાને જોતાં હુમલાખોરો સામે હત્યાનો પ્રયાસ અને રાયોટિંગની કલમો હેઠળ ગુનો નોંધી રહી છે. ધંધુકા પોલીસે ગુનો દાખલ કરીને હુમલાખોરોને ઝડપી પાડવા અને કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે જુદી-જુદી દિશામાં વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો----     Gandhinagar : વન નેશન, વન ઈલેક્શનને ગુજરાત સરકારનો સંપૂર્ણ ટેકો, હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન