ગુજરાતમાં આગઝરતી ગરમી અને ઉકળાટ યથાવત છે. રાજ્યમાં આજે મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી સુધી રહેશે. રાત્રે ગરમ પવનો ફૂંકાતા ઉકળાટ વધ્યો છે. અમદાવાદમાં 43.2, રાજકોટમાં 43, સુરેન્દ્રનગરમાં 43.5, અમરેલીમાં 42.5, ગાંધીનગરમાં 42.8, વિદ્યાનગરમાં 42, ભુજમાં 41, કંડલામાં 42, ડીસામાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાતાવરણમાં અચાનક ફેરફાર આવવાની આગાહી કરી છે. તેમણે 7મી મે દરમિયાન માવઠાની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાનમાં અચાનક પલટો આવવાની આગાહી કરી છે. આજથી 7મી મે દરમિયાન રાજ્યમાં માવઠું થવાની આગાહી કરી છે. તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે. પવનની ઝડપ 80થી 100 કિ.મી પ્રતિ કલાકની હોવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. 5થી 12મી મે દરમિયાન હવામાનમાં પલટો આવશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે.દેશના પૂર્વીય વિસ્તારો અને વિદર્ભ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

દેશભરમાં ગરમીનો પારો આસમાને પહોંચવાની શક્યતા

મે મહિનાની શરૂઆત સાથે જ દેશભરમાં ગરમીનો પારો આસમાને પહોંચવાની શક્યતા છે. કેન્દ્રીય હવામાન વિભાગની આગાહી મુજબ, ચાલુ વર્ષે મે મહિનામાં તાપમાન સામાન્ય કરતાં પણ વધારે રહેવાની ધારણા છે. ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાન જેવા પશ્ચિમ ભારતના રાજ્યોમાં આકરી લૂ (હીટવેવ) વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માત્ર પશ્ચિમ જ નહીં, પરંતુ પૂર્વ કાંઠાના રાજ્યોમાં પણ ગરમીનો પ્રકોપ સતત વધતો જશે. સતત વધતા જતા તાપમાનને પગલે હવામાન વિભાગે નાગરિકોને બપોરના સમયે સાવચેત રહેવા અને ગરમીથી બચવાના ઉપાયો કરવા સૂચના આપી છે. ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભીષણ ગરમીને કારણે પશુઓને પણ તકલીફોનો સામનો કરવો પડ્યો છે.


આ પણ વાંચોઃ Surat News: સરનામું પૂછી મહિલાઓની છેડતી કરનાર આરોપી ઝડપાયો