અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય 'ફ્લાવર શો'નું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આ વખતે મુલાકાતીઓએ ફૂલોની સુંદરતા માણવા માટે ગત વર્ષ કરતા વધુ રૂપિયા ખર્ચવા પડશે. મનપા દ્વારા જાહેર કરાયેલા નવા દરો મુજબ, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ટિકિટનો દર રૂ. 100 રાખવામાં આવ્યો છે, જ્યારે અન્ય સામાન્ય દિવસોમાં મુલાકાતીઓએ રૂ. 80 ની ટિકિટ ખરીદવી પડશે. આ ઉપરાંત, ભીડથી બચવા માંગતા લોકો માટે 'પ્રાઈમ સ્લોટ'ની સુવિધા પણ રાખવામાં આવી છે, જેની ટિકિટનો દર રૂ. 500 જેટલો ઉંચો નક્કી કરવામાં આવ્યો છે. ટિકિટના દરોમાં થયેલા આ વધારાને કારણે મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજ વધવાની શક્યતા છે.
ફ્લાવર શો જોવો મોંઘો પડશે
જોકે, મનપાએ સામાજિક જવાબદારીના ભાગરૂપે અમુક વર્ગો માટે વિશેષ છૂટછાટ પણ જાહેર કરી છે. દિવ્યાંગ વ્યક્તિઓ અને દેશની રક્ષા કરતા સૈન્ય જવાનો માટે ફ્લાવર શોમાં પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. તેવી જ રીતે, મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ પણ મફતમાં પ્રવેશ મેળવી શકશે, જ્યારે ખાનગી શાળાના બાળકો માટે માત્ર રૂ. 10ની રાહત દરે ટિકિટ રાખવામાં આવી છે. આ ફ્લાવર શોમાં દેશ-વિદેશના વિવિધ ફૂલોના આકર્ષક સ્તૂપો અને પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી રહી છે, જે અમદાવાદીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.













