ભારત સરકારના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના સનાથલ ખાતે ફાર્માસ્યુટિકલ એકેડેમી ફોર ગ્લોબલ એક્સિલન્સ (PAGE) નો ભવ્ય શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ એકેડેમી ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (IPA) ની સભ્ય કંપનીઓ દ્વારા શરૂ કરાયેલું એક રાષ્ટ્રીય કૌશલ્ય પહેલ છે.
425 કરોડથી વધુનું રોકાણ અને વૈશ્વિક વિઝન
IPA ના સભ્યોએ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન અને ગુણવત્તામાં શ્રેષ્ઠતા લાવવા માટે 50 મિલિયન અમેરિકન ડોલર (આશરે ₹425 કરોડથી વધુ) ની માતબર રકમ ફાળવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ઉદ્યોગની જરૂરિયાત મુજબના કુશળ માનવ સંસાધન તૈયાર કરવાનો છે.
કેન્દ્રીય ગૃહમંત્રીનું સંબોધન
અમિત શાહે જણાવ્યું હતું કે, “ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર એ ભારતની સ્ટ્રેટેજિક નેશનલ એસેટ છે. PAGE એ 'આત્મનિર્ભર ભારત' તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. વિકસિત ભારત 2047ના વિઝન સાથે હવે ભારત 'મેક ઇન ઇન્ડિયા' થી આગળ વધીને 'ડિસ્કવર એન્ડ મેક ઇન ઇન્ડિયા' તરફ પ્રયાણ કરશે.”
IPA ના 25 વર્ષ અને ‘ઇન્ડિયા ફાર્મા આર્કાઇવ્સ’
ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘ઇન્ડિયા ફાર્મા આર્કાઇવ્સ’ નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. IIM અમદાવાદના સહયોગથી તૈયાર કરાયેલ આ પહેલ હેઠળ ‘ધ એલ્કેમી ઓફ ક્યોર’ નામનું કોફી ટેબલ બુક પણ લોન્ચ કરાયું, જે ભારતની આયાત નિર્ભરતાથી ગ્લોબલ સપ્લાયર બનવા સુધીની સફરનું ડોક્યુમેન્ટેશન કરે છે.
PAGE ના મુખ્ય ફાયદાઓ
નવા ગ્રેજ્યુએટ્સ અને પ્રોફેશનલ્સ માટે માળખાગત તાલીમ.વૈશ્વિક સ્તરની ઉત્પાદન સિસ્ટમ્સ માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન્ડસ્ટ્રી અને એકેડેમિયા વચ્ચેના અંતરને પૂરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાતની ફાર્મા હબ તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવવા બદલ આ પહેલને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં ઝાયડસ લાઇફસાયન્સિસના MD ડૉ. શાર્વિલ પટેલ સહિત ફાર્મા ઉદ્યોગના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: નવલખી પોર્ટની અસુવિધાઓ સામે ટ્રાન્સપોર્ટરોનો હલ્લાબોલ, પીપળીયા ચાર રસ્તા પર ચક્કાજામ