ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ રાજ્યમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ ડામવા માટે મોટી સફળતા મેળવી છે. તાજેતરમાં ઝડપાયેલા બે જેહાદીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ શંકાસ્પદ આતંકીઓએ સોશિયલ મીડિયા પર 'હિન્દ-એ-વિલાયત' નામનું એક ગુપ્ત ગ્રુપ બનાવી ભારતના યુવાનોમાં જેહાદી માનસિકતા ફેલાવવાનું વ્યવસ્થિત નેટવર્ક ઊભું કર્યું હતું.

દેશવ્યાપી નેટવર્ક

ATSની તપાસમાં સામે આવ્યું છે કે આ 'હિન્દ-એ-વિલાયત' ગ્રુપમાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ ભારતના અલગ-અલગ રાજ્યોના સભ્યો સામેલ હતા. આ નેટવર્કની ગંભીરતાને જોતા હવે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ અને મહારાષ્ટ્રની સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, આ ગ્રુપ દ્વારા કટ્ટરપંથી સાહિત્ય અને વીડિયો શેર કરીને યુવાનોના બ્રેઈનવોશ કરવામાં આવતા હતા.

મુખ્ય સૂત્રધારની ધરપકડ

આ સમગ્ર જેહાદી માનસિકતા ફેલાવવાના ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર ઈરફાન પઠાણ હોવાનું ખુલ્યું છે. ઈરફાન પઠાણે જ આ ગ્રુપની રચના કરી હતી અને તે જ દેશભરના સભ્યોને ઉશ્કેરણીજનક સૂચનાઓ આપતો હતો. ATS હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગ્રુપને કોઈ વિદેશી તાકતો કે આતંકી સંગઠનો દ્વારા ફંડિંગ પૂરું પાડવામાં આવતું હતું કે કેમ. આ ધરપકડ બાદ દેશના અન્ય રાજ્યોમાં પણ દરોડા પડવાની શક્યતા સેવાઈ રહી છે.


આ પણ વાંચો---     Surat : ઉમરામાં ઉદ્યોગપતિની પુત્રવધૂનો આપઘાત, લગ્નના 3 મહિનામાં જ ખ્યાતિ કેજરીવાલે જીવન ટૂંકાવ્યું