તાજેતરના આંકડાઓએ ગુજરાતમાં ખાદ્ય સુરક્ષા અંગે લાલબત્તી ધરી છે. વર્ષ 2024-25 દરમિયાન લેવામાં આવેલા નમૂનાઓના વિશ્લેષણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે રાજ્યમાં વેચાતું આશરે 23% પનીર અને દૂધની બનાવટો ભેળસેળયુક્ત છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર, ગુજરાતના કુલ 4,650 થી વધુ ખાદ્ય પદાર્થોના નમૂના ગુણવત્તાના ધોરણોમાં નિષ્ફળ રહ્યા છે. ખાસ કરીને પનીરમાં કુદરતી ફેટના બદલે સ્ટાર્ચ, સુક્રોઝ, પામ ઓઇલ અને સોયા ઓઇલ જેવી સસ્તી અને હાનિકારક વસ્તુઓની ભેળસેળ કરવામાં આવી રહી છે, જે સામાન્ય ગ્રાહકો માટે ગંભીર ચિંતાનો વિષય છે.
પનીર કૌભાંડ
આ નકલી પનીર માત્ર ખિસ્સા પર જ નહીં, પણ સ્વાસ્થ્ય પર પણ સીધો હુમલો કરી રહ્યું છે. એક વર્ષમાં તપાસાયેલા 628 નમૂનાઓમાંથી 140 જેટલા નમૂનાઓ ખાવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. નિષ્ણાતોના મતે, પનીરમાં વપરાતું પામ ઓઇલ અને સ્ટાર્ચ લાંબા ગાળે હાઈ કોલેસ્ટ્રોલ અને કેન્સર જેવા જીવલેણ રોગોનું જોખમ વધારે છે. શુદ્ધ પનીરના નામે વેચાતું આ 'ઝેર' હૃદયની ધમનીઓમાં અવરોધ પેદા કરી શકે છે. તહેવારો અને પ્રસંગોમાં વધતી માંગનો ફાયદો ઉઠાવી ભેળસેળિયાઓ લોકોના જીવન સાથે રમત રમી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા કડક કાર્યવાહીની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે.













