અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખીરું ખાધા બાદ બે સગી બહેનોના મોતના સમાચારથી સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટનામાં પોલીસ માટે સૌથી મોટો આધાર ગણાતા FSL (Forensic Science Laboratory) ના રિપોર્ટની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, જે હવે પોલીસને મળી ગયો છે. જોકે, આ રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ બાબત સામે ન આવતા તપાસમાં મોટો વળાંક આવ્યો છે.
ચાંદખેડા બાળકીઓના મોતનો કેસ
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, FSL રિપોર્ટમાં બાળકીઓએ જે ખીરું ખાધું હતું તેમાં કોઈ ઝેરી પદાર્થ કે વાંધાજનક તત્વો મળી આવ્યા નથી. રિપોર્ટમાં કંઈપણ શંકાસ્પદ ન જણાતા પરિવાર અને પોલીસની આશંકાઓ પર હવે સવાલો ઉઠી રહ્યા છે. આ અગાઉ પ્રાથમિક રીતે એવું માનવામાં આવતું હતું કે ફૂડ પોઈઝનિંગ અથવા ખીરામાં કોઈ ઝેરી પદાર્થના કારણે બાળકીઓના જીવ ગયા છે.










