સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો વ્યાપેલો છે, ત્યારે ભરૂચ શહેરમાં શાંતિ ડહોળવાનો શંકાસ્પદ પ્રયાસ સામે આવ્યો છે. ભરૂચના વેજલપુર વિસ્તારમાં મોડી રાત્રે અજાણ્યા તત્વોએ પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવી આગ ચાંપતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.


વેજલપુરમાં અજાણ્યા તત્વોએ 5 વાહનો સળગાવ્યા

મળતી માહિતી મુજબ, વેજલપુર વિસ્તારમાં લોકોએ પોતાના ઘર પાસે પાર્ક કરેલી 4 બાઈક અને 1 રિક્ષાને મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ આગ લગાવી દીધી હતી. આગ એટલી તીવ્ર હતી કે જોતજોતામાં વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. વહેલી સવારે જ્યારે સ્થાનિકો જાગ્યા ત્યારે આ ઘટનાની જાણ થતા હોબાળો મચી ગયો હતો.

ચૂંટણી પૂર્વે અશાંતિનો પ્રયાસ?

ભરૂચ જિલ્લામાં ચૂંટણીને લઈને પોલીસ પહેલેથી જ એલર્ટ પર છે, તેવા સમયે જ આ પ્રકારની ઘટના બનતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો અને સ્થાનિકોનું માનવું છે કે ચૂંટણીના ટાણે ભય અને અશાંતિ ફેલાવવાના ઈરાદે જ વાહનો સળગાવવાનું આ કૃત્ય કરવામાં આવ્યું છે.

પોલીસ તપાસ તેજ

ઘટનાની જાણ થતા જ ભરૂચ પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો વેજલપુર દોડી આવ્યો હતો. પોલીસે અજાણ્યા તત્વો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: MD ડ્રગ્સની રેડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો, આરોપીને પકડવા જતાં PSI પર છરીના ઘા ઝીંક્યા

  • Follow us on: