અમદાવાદ શહેરમાં ક્રાઈમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, જ્યાં માત્ર 24 કલાકમાં જ હત્યાના બે અલગ-અલગ બનાવોએ શહેરને થથરાવી દીધું છે. શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા કૃષ્ણધામ ઔડાના મકાન નજીક એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પુત્રએ પોતાની જ સગી માતાની નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સામાન્ય તકરારમાં પુત્રએ આવેશમાં આવી જઈને માતા પર લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો, જેના કારણે ગંભીર ઈજાઓ પહોંચતા માતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
કળિયુગનો કિસ્સો
પ્રાથમિક તપાસ અને સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ જઘન્ય હત્યા પાછળ મકાનનો વિવાદ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક ઝઘડાએ આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા જ આનંદનગર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનો નોંધી આરોપી પુત્રની અટકાયત કરી લીધી છે. એક જ દિવસમાં શહેરમાં થયેલી બે હત્યાઓએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઉભા કર્યા છે.
