શહેરના નારણપુરા વિસ્તારમાં આજે 31 માર્ચની વહેલી સવારે એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. નારણપુરાના ચામુંડાનગરમાં આવેલા એક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના બે મકાનોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા.

નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ

અમદાવાદ ફાયર બ્રિગેડને વહેલી સવારે 5:30 કલાકે ગેસ લીકેજ અંગેનો કોલ મળ્યો હતો. ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે જોયું કે નાની ઓરડી જેવા મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થઈ ચૂક્યો હતો અને ઘરમાં રહેલા ગાદલા તથા સામાનમાં આગ પ્રસરી ગઈ હતી. ફાયર જવાનોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘરમાં સૂતેલા પાંચ લોકો આગની લપેટમાં આવી ગયા હતા.

108 મારફતે સોલા સિવિલ ખસેડાયા

સ્થાનિક લોકોની મદદથી તમામ પાંચ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટની તીવ્રતાને કારણે મકાનના સ્લેબના પોપડા પણ ઉખડી ગયા હતા અને આખા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. હાલ ફાયર વિભાગ અને પોલીસ દ્વારા ગેસ લીકેજ પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Rajkot: રિવોલ્વર સાફ કરતા અચાનક ફાયરિંગ, સાયબર ક્રાઈમના PSI સહિત બે ઈજાગ્રસ્ત