અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા જોધપુર ચાર રસ્તા પાસેના MG ફાર્મમાં આજે એકાએક આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ફાર્મમાં એક પ્રસંગ ચાલી રહ્યો હતો અને મહેમાનોની હાજરી હતી, તે જ સમયે ફૂડ કાઉન્ટર પર રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જમણવારના સમયે જ આગ લાગતા પ્રસંગમાં હાજર લોકોમાં ભારે અફરાતફરી અને ફફડાટ મચી ગયો હતો. લોકોએ જીવ બચાવવા માટે દોડધામ શરૂ કરી દીધી હતી, જેના કારણે થોડા સમય માટે ભયનું વાતાવરણ સર્જાયું હતું.


ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરી

આ ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે આગ વધુ પ્રસરે તે પહેલા જ તેને રોકી લેવામાં આવી હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતની વાત છે. પ્રાથમિક દ્રષ્ટિએ ગેસ સિલિન્ડરમાં લીકેજને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયર વિભાગે હાલમાં સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે અને સાવચેતીના ભાગરૂપે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Surat News : ગરીબો સાથે છેતરપિંડી, રૂ. 1800ની સાયકલ રૂ. 2500માં પધરાવી કરોડોનું ફૂલેકું ફેરવતું નેટવર્ક ઝડપાયું

  • Follow us on: