વિદેશમાં મેડિકલના ઉચ્ચ અભ્યાસ અર્થે ગયેલા વધુ એક ગુજરાતી વિદ્યાર્થીના મોતના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. યુરોપના જ્યોર્જિયા દેશમાં છેલ્લા 16 દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા અમદાવાદના તેજસ્વી વિદ્યાર્થી ધ્વનિત રાજદીપનો મૃતદેહ ત્યાંની એક નદીમાંથી મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ગત 14 મેથી ગુમ થયેલા ધ્વનિતની લાશ મળતા જ સ્થાનિક પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
14 મેના રોજ તે ગુમ થયો હતો.
અમદાવાદના નિકોલ વિસ્તારનો રહેવાસી 22 વર્ષીય ધ્વનિત રાજદીપ જ્યોર્જિયામાં તબીબી અભ્યાસ અર્થે ગયો હતો. 14 મેના રોજ તે અચાનક હોસ્ટેલ/રૂમ પરથી ગુમ થઈ ગયો હતો, જેની જાણ થતાં જ અમદાવાદમાં રહેતા તેના ચિંતાતુર પરિવારે સોશિયલ મીડિયા અને કેન્દ્રીય વિદેશ મંત્રાલય સમક્ષ મદદની ગુહાર લગાવી હતી.
મકાન માલિક સાથે થયેલો કોઈ મોટો વિવાદ
પરિવારનો આરોપ હતો કે ધ્વનિતના ગુમ થવા પાછળ તેના સ્થાનિક મકાન માલિક સાથે થયેલો કોઈ મોટો વિવાદ જવાબદાર હોઈ શકે છે. મકાન માલિક સાથે અવારનવાર થતી બોલાચાલી અને માનસિક ત્રાસના કારણે જ ધ્વનિત સાથે કોઈ અનહોની થઈ હોવાની આશંકા સેવાઈ રહી હતી.
નદીના પટમાંથી ધ્વનિતનો મૃતદેહ મળી આવ્યો
જ્યોર્જિયા પોલીસને તપાસ દરમિયાન એક સ્થાનિક નદીના પટમાંથી ધ્વનિતનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી છે અને આ આત્મહત્યા છે, અકસ્માત છે કે પછી મકાન માલિક સાથેના વિવાદમાં થયેલી કોઈ સાઝિશ હેઠળની હત્યા, તે તમામ પાસાઓ પર સઘન તપાસ શરૂ કરી છે.
પરિવારમાં શોકનો માહોલ
બીજી તરફ, યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જ અમદાવાદમાં પરિવાર હિબકે ચડ્યો છે. પરિવારે ભારત સરકારને વિનંતી કરી છે કે ધ્વનિતના મૃતદેહને વહેલી તકે ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે અને તેને ન્યાય અપાવવા માટે જ્યોર્જિયા પ્રશાસન પર દબાણ લાવવામાં આવે.
આ પણ વાંચો---- Vadodara : નકલી IB ઓફિસર બની આપના જ કાર્યકરને ધમકાવવામાં વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝા સહિત 2ની ધરપકડ