વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટના મહત્તમ ઉપયોગ માટે કરવામાં આવેલી અપીલ બાદ હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) હરકતમાં આવ્યું છે. મુંબઈ મેટ્રોની માફક શું ગુજરાતમાં પણ મેટ્રો મોડી રાત સુધી દોડશે? આ પ્રશ્નનો જવાબ હવે સકારાત્મક મળી રહ્યો છે. મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના જોઈન્ટ MD સંજય ગુપ્તાએ 'સંદેશ' સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે, જો મેટ્રોની ઉપયોગિતા વધશે તો ચોક્કસપણે સમય વધારવા અંગે ગંભીર વિચારણા કરવામાં આવશે.

 મેટ્રો એક આરામદાયક અને સુરક્ષિત પરિવહનનો વિકલ્પ

સંજય ગુપ્તાએ જણાવ્યું હતું કે, મેટ્રો એક આરામદાયક અને સુરક્ષિત પરિવહનનો વિકલ્પ છે અને લોકો તેનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે. PM મોદીની અપીલ દેશના હિતમાં છે અને તેનાથી ઈંધણની બચત થશે. હાલમાં મેટ્રો તંત્ર દ્વારા લોકોની પરિવહન પેટર્ન પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનની અપીલ પહેલાની સ્થિતિ અને અપીલ પછીના ટ્રાન્સપોર્ટ ઉપયોગની તુલનાત્મક સમીક્ષા કરવામાં આવશે.

મેટ્રોના ઉપયોગના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવશે

આગામી એક માસ દરમિયાન મેટ્રોના ઉપયોગના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવશે. જો રાત્રિના સમયે મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જણાશે, તો મેટ્રો બોર્ડ દ્વારા સમય લંબાવવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, વર્ક ફ્રોમ હોમ અને પબ્લિક ટ્રાન્સપોર્ટના સંતુલનથી પેટ્રોલ-ડીઝલની સાથે વીજળીની પણ મોટી બચત થઈ શકે તેમ છે. આ આંકલન બાદ અમદાવાદીઓને મોડી રાત સુધી મેટ્રોની સુવિધા મળવાની શક્યતાઓ પ્રબળ બની છે.


આ પણ વાંચો----    MP Dewas Factory Blast: દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 3ના મોત, 20 લોકો ઇજાગ્રસ્ત